જાણો ચીનમાંથી મળેલો મંકી બી વાયરસ અને તેની સારવાર વિશે...
કોરોના વાયરસ બાદ ચીનમાં વધુ એક વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસનું નામ મંકી બી વાયરસ (BV) છે. માર્ચ મહિનામાં એક પશુ ચિકિત્સક 2 જાનવરની સારવાર દરમિયાન આ વાયરસના સંપર્કમાં આવતા પહેલો કેસ નોંધાયો હતો.
વર્ષ 2019ના અંતમાં જ્યારે ચીનમાં કોરોના વાયરસની જાણકારી મળી હતી, તે સમયે અંદાજ લાગાવવામાં આવ્યો હતો કે, સમગ્ર વિશ્વ પર તેની ગંભીર અસરો થશે. જે બાદ દોઢ વર્ષમાં કોરોના વાયરસે મચાવેલા કહેરનું સાક્ષી સમગ્ર વિશ્વ છે. કોરોનાની રસી આવ્યા બાદ પણ લોકો કોરોનાથી સંક્રમિત થાય છે. કોરોના વાયરસ બાદ ચીનમાં વધુ એક વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસનું નામ મંકી બી વાયરસ (BV) છે. માર્ચ મહિનામાં એક પશુ ચિકિત્સક 2 જાનવરની સારવાર દરમિયાન આ વાયરસના સંપર્કમાં આવતા પહેલો કેસ નોંધાયો હતો.
જૂલાઇ માસમાં ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (china CDC) દ્વારા આ મામલે જાણકારી આપતા જણાવ્યું હતું કે, મંકી બી વાયરસના સંપર્કમાં આવ્યા બાદ પશુચિકિત્સકની મોટી હોસ્પિટલ્સમાં સારવાર કરવામાં આવી હતી, પરંતુ તેમની હાલતમાં સુધારો આવ્યો ન હતો, જે બાદ મે મહિનામાં આ પશુ ચિકિત્સકનું મોત થયું હતું. દર્દીના સેરેબ્રોસ્પાઇનલ ફ્લિૂઇડની તપાસ કર્યા બાદ, આલ્ફાહેર્પીસવાયરસનું સંક્રમણ તેમનામાં મળી આવ્યું છે. દર્દી પાસેથી બ્લિસ્ટર ફ્લૂઇડ, લોહી, નેઝલ સ્વેબ, થ્રોટ સ્વેબ અને પ્લાઝ્માનું સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓ ચાઇના સીડીસીની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ફોર વાયરલ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (IVDC)ને મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેની ઓળખ મંકી બી વાયરસ તરીકે કરવામાં આવી હતી.
મંકી બી વાયરસ શું છે ?
મંકી બી વાયરસ સામાન્ય રીતે હર્પીઝ બી, હર્પીસવાયરસ સિમિયા અને હર્પીસવાયરસ બી તરીકે પણ ઓળખાય છે. મૈકાક વાંદરાઓને કારણે આ વાયરસ ફેલાય છે. આ સિવાય રીસસ મૈકાક, ડુક્કર-પૂંછડીવાળા મૈકાક અને સિનોમોલગસ પ્રજાતીના વાંદરા અથવા લાંબા પૂંછડીવાળા મૈકાક દ્વારા પણ ફેલાય છે. ચિમ્પાન્ઝી અને કૈપુચિન વનર પણ આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે તેમજ મૃત્યુ પામે છે.
મંકી બી વાયરસ મનુષ્યમાં ઝડપથી ફેલાતો નથી
યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (US CDC) જણાવે છે કે, મનુષ્યમાં મંકી બી વાયરસના સંક્રમિત કેસ અત્યંત દુર્લભ છે. તે પ્રથમ 1932માં નોંધાયો હતો, ત્યારથી ફક્ત 50 લોકો જ આ વાયરસથી સંક્રમિત થયા હતા. તેમાંથી 21 લોકોનાં મોત થયા છે. એટલું જ નહીં, કોરોના વાયરસની જેમ આ વાયરસ માનવથી માણસમાં પણ ફેલાતો નથી. મંકી બી વાયરસથી સંક્રમિત વ્યક્તિએ બીજી વ્યક્તિને ચેપ લગાડ્યો હોય તેવો હજૂ સુધી આવો કોઈ કિસ્સો જોવા મળ્યો નથી. 1932થી અત્યાર સુધીમાં કુલ 50 લોકો વાંદરાના કરડવાથી કે વાંદરા દ્વારા થયેલી ઇજાને કારણે મંકી બી વાયરસથી સંક્રમિત થયા હતા.
મંકી બી વાયરસ કઇ રીતે ફેલાય છે?
મૈકાકની લાળ, મળ, પેશાબ, મગજ અથવા કરોડરજ્જુની પેશીઓમાં જોવા મળતો મંકી બી વાયરસ સપાટી પર કલાકો સુધી ટકી શકે છે. ખાસ કરીને ભેજ હોય તેવી જગ્યા પર તે લાંબો સમય ટકી શકે છે. મંકી બી વાયરસને સામાન્ય રીતે લોકોમાં ફેલાવાનું થવાનું જોખમ ઓછું છે, પરંતુ પ્રયોગશાળા કામદારો, પશુચિકિત્સકો અને વાંદરાઓ અથવા તેમના નમુનાઓના સંપર્કમાં આવી શકે તેવા લોકોમાં ફેલાય તેવી શક્યતાઓ વધું છે.
મંકી બી વાયરસના લક્ષણો
મંકી બી વાયરસના સંક્રમણના શરૂઆતના લક્ષણો ફ્લૂ જેવા હોય છે, જેમાં તાવ અને શરદી, સ્નાયુઓમાં દુઃખાવો, થાક અને માથાનો દુઃખાવો શામેલ છે. થોડા સમય બાદ, મંકી બી વાયરસથી ચેપગ્રસ્ત વ્યક્તિના ઘામાં નાના ફોલ્લાઓ થઇ શકે છે, જ્યારે અન્ય લક્ષણોમાં શ્વાસની તકલીફ, ઉબકા અને ઉલટી થવી, પેટમાં દુઃખાવો વગેરે શામેલ છે. સમય જતા મંકી બી વાયરસ મગજ અને કરોડરજ્જુમાં પણ બળતરા પેદા કરી શકે છે. સીડીસી મુજબ આ લક્ષણો એક દિવસથી ત્રણ અઠવાડિયા સુધીમાં દેખાય શકે છે.
શું રાખશો સાવચેતીઓ
હાલમાં મંકી બી વાયરસની સારવાર કે બચવા માટે કોઈ રસી અસ્તિત્વમાં નથી. જો કે, એન્ટિવાયરલ દવાઓ સમયસર આપવામાં આવે તો સંક્રમિત વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. આ સિવાય કેટલાક રક્ષણાત્મક પગલાં પણ દર્દીને સ્વસ્થ થવામાં મદદ કરી શકે છે.
ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, જો કોઇ વ્યક્તિને વાંદરાએ કરડ્યો હોય તો સાબુ, ડીટરજન્ટ અથવા આયોડિનથી 15 મિનિટ સુધી નરમ હાથે ઘા ધોઈ લો. ઘા અને આસપાસની ચામડીને 15થી 20 મિનિટ સુધી પાણીથી સાફ કરો. જે બાદ તાત્કાલિક ડૉક્ટર્સનો સંપર્ક કરી સારવાર લેવી.