ઈમરાન ખાન પર હુમલા માટે પાર્ટીએ PM શરીફ સહિત 3 લોકો પર લગાવ્યો આરોપ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર એક રેલી દરમિયાન ગોળી ચલાવવામાં આવી. તેમના પગમાં ગોળી વાગી છે.
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર એક રેલી દરમિયાન ગોળી ચલાવવામાં આવી. તેમના પગમાં ગોળી વાગી છે. ગોળી મારનાર યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગોળીબારમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈંસાફ(પીટીઆઈ)નો એક કાર્યકર્તા માર્યો ગયો અને આ ઘટનામાં 9 લોકો ઘાયલ થઈ ગયા છે. ગુરુવારે વઝીરાબાદમાં બનેલી આ સમગ્ર ઘટનાને ઈમરાન ખાનના પક્ષે ષડયંત્ર ગણાવી આના માટે ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા છે.
પાર્ટીએ આ 3 લોકો પર લગાવ્યો હુમલાનો આરોપ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ઈમરાન ખાન પર હુમલા માટે ત્રણ મોટા નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. પાર્ટીએ આ હુમલા માટે પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ, રાણા સનાઉલ્લાહ અને આઈએસઆઈ અધિકારી મેજર જનરલ ફૈઝલને જવાબદાર ગણાવ્યા છે. પીટીઆઈના નેતાઓ ફવાદ ચૌધરી, મિયાં અસલમ ઈકબાલ, ઈમરાન અસદ ઉમર અને પાર્ટીના અન્ય નેતાઓએ ભારપૂર્વક કર્યુ છે કે પીએમ શહેબાઝ શરીફ, પીએમએલ-એનના નેતા અને સંઘીય આંતરિક મંત્રી રાણા સનાઉલ્લાહ અને ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર આ હુમલા માટે દોષિત છે.
આરોપ પર પીએમ શરીફનુ નથી આવ્યુ કોઈ નિવેદન
જો કે હાલમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના આ આરોપો પર પીએમ શહેબાઝ શરીફ કે મેજર જનરલ ફૈઝલ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે ઈમરાન ખાન પર હુમલાની નિંદા કરી છે. પાક પીએમ શાહબાઝ શરીફે ટ્વીટ કરીને લખ્યુ, 'હું ઇમરાન ખાન પર ગોળીબારની નિંદા કરુ છુ. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને મે તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. આશા છે કે ઈમરાન અને અન્ય ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. અમે આ સમયે પંજાબ સરકારને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ.' પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા આસિફ અલી ઝરદારી જેવા પાકિસ્તાની નેતાઓએ પણ હુમલાની નિંદા કરી.
ઈમરાન ખાનની હાલત
પીટીઆઈના નેતાઓએ કહ્યુ છે કે ઈમરાન ખાનના જમણા પગમાં ઈજા થઈ છે અને તે ખતરાની બહાર છે. અહેવાલો મુજબ ઈમરાન ખાનને સારવાર માટે લાહોરની શૌકત ખાનમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ટેલિવિઝન ફૂટેજમાં ઘાયલ ઈમરાન ખાનને ગોળી વાગ્યા બાદ સમર્થકોના હાથ હલાવતા અને પછી તેમને તેમના બુલેટપ્રૂફ વાહનમાં લઈ જતા બતાવવામાં આવ્યા હતા. ગોળીબારમાં પીટીઆઈના એક કાર્યકરનુ મોત થયુ હતુ અને પાર્ટીના નેતાઓ અહેમદ ચથા અને ફૈઝલ જાવેદ સહિત 13 અન્ય લોકો ઘાયલ થયા હતા. પીટીઆઈ સમર્થક સાથે ઝપાઝપી બાદ ઘટના સ્થળ પર પિસ્તોલથી સજ્જ એક શકમંદની ધરપકડ કરવામાં આવી હતી.
'સ્પષ્ટ રીતે હત્યાનો પ્રયાસ...'
પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ રોઇટર્સને જણાવ્યુ હતુ કે, 'આ સ્પષ્ટ રીતે હત્યાનો પ્રયાસ હતો. ઇમરાન ખાનને ગોળી મારવામાં આવી હતી. પરંતુ તે સ્થિર છે. ખૂબ લોહી વહી રહ્યુ હતુ.' અન્ય પીટીઆઈ નેતા ફૈઝલ સુલતાને લાહોરમાં પત્રકારોને જણાવ્યુ હતુ કે એક્સ-રેમાં ઈમરાન ખાનના પગમાં ગોળીઓના છરા અને હાડકામાં એક ચિપ હોવાનુ બહાર આવ્યુ છે.