17 દિવસ બાદ કાટમાળમાંથી જીવીત નીકળી 'રેશમા'
ઢાકા, 11 મેઃ આને કુદરતનો કરિશ્મા કહો કે પછી રેશમાના જીવનની કમાલ કે તે 17 દિવસ બાદ મહિલા રાણા પ્લાઝા બિલ્ડિંગના કાટમાળમાંથી જીવીત બહાર નીકળી છે. બાંગ્લાદેશ આર્મીના લેફ્ટિનેન્ટ કર્નલ મુઅજ્જમ જ્યારે બેસમેન્ટના કાટમાળમાં પહોંચ્યા તો ત્યાં રેશમા નામની મહિલા સલામત મળી આવી હતી. નોંધનીય છે કે 24 એપ્રિલે આ બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી. ત્યારથી અત્યાર સુધી 1050 જટેલી લાશો બહાર કાઢવામાં આવી છે.
મુઅજ્જમે જણાવ્યું કે, મે અહીં દરરોજ એટલી લાશો ગણી છે કે આવા કોઇ ચમત્કારની આશા નહોતી. એક હોલ નજર આવતા મે ટોર્ચની રોશની ત્યાં ફેંકી. જ્યારે હું એ હોલથી અંદર ગયો હતો સામે એક ભયજનક અવસ્થામાં મહિલા જોઇને હું ચોંકી ગયો હતો. મે તેને તુરત જ બિસ્કિટ અને પાણી પીવા માટે આપ્યું. ત્યાર બાદ તેણે પોતાનું નામ જણાવ્યું હતું. રેશમાને એમ્બ્યુલન્સ થકી આર્મી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ ઘટનાથી આહત નોબલ પીસ એવોર્ડથી નવાજવામાં આવેલા બાંગ્લાદેશી અર્થશાસ્ત્રી મોહમ્મદ યૂનુસના મતે આ ઘટના કોઇ દેશની સૌથી મોટી નિષ્ફળતા છે. તેમણે મોટા રિટેલ બ્રાન્ડ્સને બાંગ્લાદેશ નહીં છોડીને જવા અનુરોધ કર્યો છે.