પરદેશમાં વતન પ્રત્યેની લાગણી વ્યક્ત કરશે ‘પરદેશ-એક સપનું’
અમદાવાદ. 13 સપ્ટેમ્બર: ‘કેવી રીતે જઇશ'ની સફળતા બાદ હવે વધુ એક નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેમાં એક એનઆરઆઈ પરિવારોની ઘરે પરત ફરવાની તડપને દર્શાવવામાં આવ્યું છે. કેવી રીતે જઈશમાં અમેરિકા જવાની મહેચ્છાને દર્શાવાયું છે, તેનાથી તદ્દન વિપરીત આ નવી આવનાર ગુજરાતી ફિલ્મમાં એક એનઆરઆઈ પરિવારની પોતાના વતન પ્રત્યેની લાગણીને ઉપસાવવાનો પ્રયાસ કરાયો છે.

જાણીતા ગુજરાતી ટેલિવિઝન પર્સનાલિટી વિપુલ વ્યાસ દિગ્દદર્શિત આ ફિલ્મનું નામ છે ‘પરદેશ-એક સપનું'. આ ફિલ્મની વધુ એક ખાસિયત એ છે કે એ એવી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે, જે પહેલાં વિદેશમાં રિલીઝ થઈ છે અને હવે પછી ગુજરાતમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનુ મોટાભાગની શુટિંગ ઑસ્ટ્રેલિયામાં થયું છે.
એક ગુજરાતી ફિલ્મ, જે પહેલાં ઑસ્ટ્રેલિયામાં રિલીઝ થઈ છે, તેને ભારતમાં રિલીઝ કરતાં પહેલાં જબરદસ્ત માર્કેટિંગ કરવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાએ આ ફિલ્મમાં સબટાઇટલ્સ ઇંગ્લિશમાં મુક્યાં છે, જેથી સિડની અને પર્થમાં રહેતાં અનિવાસી ગુજરાતીઓની નવી પેઢી આ ફિલ્મનું હાર્દ સમજી શકે.
ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર વિપુલ વ્યાસે જણાવ્યું કે પર્થ ખાતે આ ફિલ્મના બધા શો વેચાઈ ગયા હતાં જ્યારે સિડની ખાતે 90 ટકા શો વેચાઈ ગયાં હતાં. વ્યાસે જણાવ્યું કે અમે મેલબોર્ન, બ્રિસ્બેન તથા એડિલેડમાં પણ ટુંકમાં જ આ ફિલ્મ રિલીઝ કરવાના છીએ. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મમાં સ્થાનિક કલાકારો તથા કેટલાંક ઑસ્ટ્રેલિયનો પણ છે. મોટાભાગના કલાકારો એવા છે, જે મારી સાથે છેલ્લા 14 વરસથી સ્ટેજ પરફૉર્મ કરી રહ્યાં છે. હું જ્યારથી ઑસ્ટ્રેલિયામાં સ્થિર થયો છું, ત્યારથી ત્યાંના સ્થાનિક ભારતીય સમુદાય માટે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં નાટકો ભજવતો આવ્યો છું. સંગીત અને અન્ય પાસાઓ ઉપર ભારત અને ઑસ્ટ્રેલિયાના ટેલેંટેડ કલાકારોએ ઘણી મેહનત કરી છે.
વ્યાસનું માનવું છે કે ફિલ્મમાં ઑસ્ટ્રેલિયન લોકેશનો જેમ કે બોન્ડી બિચ, ઑપેરા હાઉસ, ડાર્લિંગ હાર્બર, એન્ઝેક બ્રિજ, બ્લ્યુ માઉંટેંસ અને માઉંટ ટોમાહને આવરી લેવાયાં છે અને આ બધું બજેટમાં થઈ પણ ગયું જોકે, ભારતની બહાર શુટિંગ કરવી બહુ ખર્ચાળ બાબત છે. તેઓ એટલા માટે આ કરી શક્યાં, કારણ કે તેઓ ત્યાં રહે છે અને ત્યાંના ન્યુ સાઉથ વેલ્સના સ્થાનિક ગુજરાતી સમુદાયે ઘણો સપોર્ટ આપ્યો. ઉપરાંત ન્યુ સાઉથ વેલ્સના ગુજરાતી સમાજ તથા સિડનીના ગુજરાતી ભવને પણ સહકાર આપ્યો છે.
આ ફિલ્મ પોતાના વતનથી દૂર રહેનાર લોકોના દર્દને ઉપસાવે છે. દિગ્દર્શકે પોતે પણ આ દર્દને અનુભવ્યો છે. વિપુલ વ્યાસે જણાવ્યું કે જ્યારે હું ઑસ્ટ્રેલિયા આવ્યો, ત્યારે 80ના દાયકાથી ત્યાં રહેતા ઘણાં બધા ગુજરાતીઓ મને જાણતા હતાં, કારણ કે હું અમદાવાદ દુરદર્શનમાં કામ કરી ચુક્યો હતો. ઘણાં વિદ્યાર્થીઓ મને મળ્યાં અને જણાવ્યું કે તેઓ ફિલ્મો જોઇને અને અહીં જીવન સુંદર છે, એમ માનીને અહીં આવ્યા હતાં, પરંતુ વાસ્તવિકતાએ તેમનું દિલ દુભાવ્યું છે. આ બધાએ જ મને આ વિષય ઉપર ફિલ્મ બનાવવાની પ્રેરણા આપી. છેલ્લા ચૌદ વરસથી ઑસ્ટ્રેલિયામાં રહેતાં વિપુલ વ્યાસ કહે છે કે ભારત છોડવાની ઘેલછા યોગ્ય નથી.












Click it and Unblock the Notifications
