ટીમ ઇન્ડિયામાં દ્રવિડની ભૂમિકામાં પૂજારા
વિશ્વના સૌથી સફળ નંબર ત્રણ બેટ્સમેનોમાં એક દ્રવિડને 1996થી લઇને ગત વર્ષ નિવૃત્તિ લીધી ત્યાં સુધી તેણે જે રીતે ક્યારેક ક્યારેક ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા નભાવી હતી, એ જ કામ પૂજારા કરી રહ્યો છે. પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં આગમન કર્યું ત્યારથી જ તેની તુલના દ્રવિડ સાથે કરવામાં આવી રહી છે. ખરા અર્થમાં એવું લાગે છે કે ભારતીય ટીમમાં તેને દ્રવિડની ભૂમિકામાં જ ફિટ કરવામાં આવે છે.
પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ત્રીજીવાર ઓપનિંગની ગેરહાજરીમાં ઇનિંગની શરૂઆત કરવી પડી હતી. આ પહેલાં તે બેવાર સલામી બેટ્સમેનના રૂપમાં ઇનિંગનો આગાઝ કર્યો છે.
ચેતેશ્વર પૂજારાએને સૌથી પહેલા ગત વર્ષે નવેમ્બરમાં અમદાવાદમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઇનિંગમાં ઇનિંગની શરૂઆત કરીને અણનમ 41 રન બનાવ્યા હતા. એ વખતે રેગ્યુલર બેટ્સમેન ગૌતમ ગંભીર પોતાના નાનીના નિધનના કારણે મેચની અધવચ્ચેથી દિલ્હી જતો રહ્યો હતો. ત્યારબાદ પૂજારાને હાલની શ્રેણીમાં મોહાલી ખાતેની મેચમાં શિખર ધવન ઇજાગ્રસ્ત થતા બીજી ઇનિંગમાં ઓપનિંગ કરવું પડ્યું હતું. આ ઇનિંગમાં તેણે 28 રન બનાવ્યા હતા.
દિલ્હી મેચ માટે ટીમમાં ધવનના સ્થાન અંજિક્ય રહાણેને સામેલ કરવામાં આવ્યો છે. રહાણે મુંબઇ માટે ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા નિભાવી ચૂક્યો છે, પરંતુ નેશનલ સિલેક્શન કમિટીના અધ્યક્ષ સંદીપ પાટીલે પહેલા જ કહીં દીધું હતું કે રહાણેને ટીમમાં મીડલ ઓર્ડર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.