કોર્ટનો સવાલ : જો બોલર્સ ફિક્સિંગ કરી રહ્યા હતા, તો બેટ્સમેન શું કરતા હતા?
જાણો : બૂકીઓએ ક્રિકેટર્સને કેવા કોડનેમ આપ્યા?
ખેલાડીઓના વકીલોને વેધક પ્રશ્ન પૂછતા અધિક સત્ર ન્યાયાધીશ વિનય કુમાર ખન્નાએ જણાવ્યું કે "જો બોલર્સને બૂકીઓએ ફિક્સ કર્યા હતા તો બેટ્સમેનો શું કરી રહ્યા હતા? એવું કેવી રીતે બની શકે કે જો બોલર 13 રન આપી રહ્યો હતો તો બેટ્સમેન પણ તેટલા જ રન બનાવી રહ્યો હતો. જો બેટ્સમેન બોલરના ધાર્યા રન બનાવત નહીં તો શું થાત?"
કોર્ટે પૂછ્યું કે "જ્યારે ચૌહાણ બોલિંગ કરી રહ્યો હતો તો બેટ્સમેન શું કરી રહ્યો હતો? થોડું તો બેટ્સમેનના હાથમાં પણ હશે. કારણ કે તેણે પણ બોલર્સે નક્કી કર્યા હતા તેટલા જ રન બનાવ્યા હતા. એવું કેવી રીતે શક્ય બને કે બેટ્સમેનની કોઇ જ ભૂમિકા વિના બોલરને ધાર્યા રન મળે?" ઉલ્લેખનીય છે કે પાછલી 16 મેના રોજ દિલ્હી પોલીસે શ્રીસંત અને રાજસ્થાન રોયલ્સ ટીમના સભ્ય અજીત ચંડિલા અને અંકિત ચૌહાણને આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરવા મુદ્દે મુંબઇમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સના ક્રિકેટર અંકિત ચૌહાણની જમાનત અંગે જ્યારે કોર્ટમાં ચર્ચા ચાલી રહી હતી તે સમયે ન્યાયાધીશ વિનય કુમારે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં સરકારી વકીલ રાજીવ મોહન અને અન્ય પોલીસ અધિકારીઓએ કોર્ટને જણાવ્યું કે તેઓ બીજા ખેલાડીઓ અને બોટ્સમેનોની ભૂમિકાની પણ તપાસ કરી રહ્યા છે.