શ્રીલંકા સામેની ટેસ્ટમાં પૂજારા અને રાહુલે બનાવ્યા રેકોર્ડ
ચેતેશ્વર પૂજારા ભારતીય ટીમના સૌથી સફળ બેટ્સમેન બન્યા છે. ગુરૂવારે તેઓ શ્રીલંકા સામે પોતાના કરિયરની 50મી મેચ રમ્યા હતા.
ભારતના રન મશીન નામથી જાણીતા ચેતેશ્વર પૂજારાએ શ્રીલંકા સામે ગુરૂવારે પોતાના કરિયરની 50મી મેચ રમ્યા હતા. ચેતેશ્વર પૂજારા વર્તમાન સમયમાં બેસ્ટ ભારતીય ટેસ્ટ બેટ્સમેન કહેવાય છે. પોતાની 50મી મેચમાં પૂજરાએ શાનાદાર રમતનું પ્રદર્શન કરતાં 4000ના ક્લબમાં એન્ટ્રી લીધી છે. શ્રીલંકા સામેની આ મેચમાં પૂજારા જ્યારે મેદાન પર આવ્યા ત્યારે તેઓ 4000 રન કરવાથી માત્ર 34 રન દૂર હતા. મેચમાં 34 રન ફટકારતાં જ તેમના 4000 રન પૂર્ણ થયા છે. આ સાથે જ મેચની શરૂઆત કરનાર ઓપનિંગ બેટ્સમેન કે.એલ.રાહુલે પણ રેકોર્ડ સર્જ્યો હતો. કે.એલ.રાહુલ સતત 6ઠ્ઠી અર્ધ-સદી ફટકારનાર પહેલા ભારતીય ઓપનર બન્યા છે. રાહુલની આ સતત 6ઠ્ઠી અને પોતાના ટેસ્ટ કરિયરની 8મી અર્ધ-સદી હતી.

ચેતેશ્વર પૂજારા
ચેતેશ્વર પૂજારાએ 50 ટેસ્ટ મેચોમાં 84 ઇનિંગ રમી આ ઉપલબ્ધિ મેળવી છે. નોંધનીય છે કે, રાહુલ દ્રવિડે પણ 84 ઇનિંગમાં જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 4000 રન પૂર્ણ કર્યા હતા. 4000 રન પૂર્ણ કરતાની સાથે જ તેમણે સદી પણ ફટકારી છે. શ્રીલંકા વિરુદ્ધ આ તેમની સતત ત્રીજી સદી છે અને આ સાથે જ તેઓ 50મી ટેસ્ટ મેચમાં સદી ફટકારનારા સાતમા ભારતીય બેટ્સમેન બન્યા છે અને આમ કરનાર દુનિયાના 36મા બેટ્સમેન બન્યા છે.

3જા નંબરે ચેતેશ્વર પૂજારા
49 મેચ રમી ચૂકેલ ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં હવે પૂજારાથી આગળ માત્ર ત્રણ ભારતીય દિગ્ગજ ખેલાડીઓ છે અને આ ત્રણેય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂક્યા છે. પહેલા નંબરે છે વીરેન્દ્ર સહેવાગ, જેમણે 49 ટેસ્ટ મેચમાં 81 ઇનિંગમાં 51.54ના સરેરાશ સાથે 4020 રન ફટકાર્યા છે. બીજા નંબરે છે રાહુલ દ્રવિડ, જેમણે 49 ટેસ્ટ મેચમાં 86 ઇનિંગમાં 52.55 સરારેશ સાથે 4046 રન બનાવ્યા છે અને ત્રીજા નંબરે છે સુનીલ ગાવસ્કર. તેમણે 49 ટેસ્ટ મેચમાં 91 ઇનિંગમાં 56.11 સરેરાશ સાથે 4713 રન બનાવ્યા છે.
લોકો પૂજારાને રાહુલ દ્રવિડના ઉત્તરાધિકારી કહે છે, કારણ કે પૂજારા પણ એક એવા બેટ્સમેન છે જેમની વિકેટ લેવા માટે વિરોધી ટીમના બોલર્સ આતુર રહે છે.

કે.એલ.રાહુલ
બુધવારની પત્રકાર પરિષદમાં જ કપ્તાન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, ઓપનિંગ બેટ્સમેન તરીકે અભિનવ મુકુંદની જગ્યાએ કે.એલ.રાહુલ મેદાન પર ઉતરશે. ગુરૂવારની મેચમાં મેદાન પર ઉતરેલ કે.એ.રાહુલે સતત 6ઠ્ઠી અર્ધસદી ફટકારી વિરાટ કોહલીના નિર્ણયને યોગ્ય સાબિત કર્યો હતો. આ સાથે જ રાહુલે રાહુલ દ્રવિડ અને વિશ્વનાથ ગુંડપ્પાના રેકોર્ડની બરાબરી કરી છે. રસપ્રદ વાત એ છે કે, આ ત્રણેય ખેલાડીઓ કર્ણાટક રાજ્યમાંથી આવે છે. રાહુલે આ પહેલાં માર્ચમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં 5 અર્ધ-સદી ફટકારી હતી. બેંગલુરૂ ટેસ્ટમાં રાહુલે 2(90 અને 51), રાંચીમાં એક(67) અને ધર્મશાળા ટેસ્ટમાં 2(60 અને 51) અર્ધસદી ફટકારી હતી.












Click it and Unblock the Notifications
