બેંગલુરુ ટી-20: જ્યારે રૈનાના છગ્ગાથી ઘાયલ થયો 6 વર્ષનો સતીશ
બુધવારે રાત્રે રમાયેલી ટી-20 સિરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને કારમી હાર આપી હતી. પરંતુ આ મેચ દરમિયાન સુરેશ રૈનાએ લગાવેલા છગ્ગાથી 6 વર્ષનો એક બાળક ઘાયલ થયો હતો.
ભારત ની ટીમે બુધવારે રાત્રે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં બેંગલુરુના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ ની ટીમને માત આપી હતી અને આ સાથે જ આ ટી-20 સિરિઝ પોતાને નામ કરી લીધી હતી. એક તરફ ક્રિકેટ રસિયાઓ આ જીતની ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં બીજી બાજુ આ મેચની એક ક્ષણે એક પરિવારને ખૂબ ભયભીત કરી દીધું હતું.

વાત એવી થઇ કે, આ મેચ દરમિયાન ભારતની ટીમના સ્ટાર ખેલાડી સુરેશ રૈના એ એક છગ્ગો ફટકારતાં બોલ સીધો દર્શક દીર્ઘામાં બેઠેલા 6 વર્ષના બાળકને વાગ્યો. બોલ બરાબર એ બાળકના જમણા પગમાં જાંઘના ભાગે વાગ્યો હતો. બાળકને તરત જ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવ્યો, ઇજા નજીવી હોવાથી મેડિકલ સેન્ટરમાં જ તેનો ઉપચાર કરવામાં આવ્યો. પરંતુ દવા લગાવ્યા બાદ પણ એ બાળકે ઘરે જવાની ના પાડી હતી, તે ફરીથી સ્ટેડિયમમાં ગયો અને ત્યાં બેસીને આખી મેચ જોઇ હતી.
જે બાળકને બોલ વાગ્યો હતો એનું નામ છે સતીશ, તે બાળકનો ઇલાજ કરનાર ડૉક્ટર સતીશ ચાંડીએ મીડિયાને જણાવ્યું કે, બોલ વાગવાને કારણે તેને ખૂબ પીડા ઉપડી હતી, આથી તેને સ્ટેડિયમમાંથી મેડિકલ સેન્ટર લાવવામાં આવ્યો હતો. ઇલાજ કર્યા બાદ અમે તેને ઘરે જઇ આરામ કરવા કહ્યું, ત્યારે તેણે મેચ જોવાની ઇચ્છા દર્શાવી. ઇજા ગંભીર ન હોવાથી અમે તેને સ્ટેડિયમમાં જવાની છૂટ આપી.












Click it and Unblock the Notifications
