IPL 2019ની મેચો ફિક્સ હતી? સીબીઆઈએ તેના ક્લોઝર રિપોર્ટમાં શું કહ્યુ?
CBIએ 2019માં ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોના કથિત ફિક્સિંગ સંબંધિત બે કેસ બંધ કરી દીધા છે. આ કેસ પાકિસ્તાનના "ઇનપુટ્સના આધારે" દાખલ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ તેના ક્લોઝર રિપોર્ટમાં કહ્યુ કે તેને આરોપો સાબિત કરવા માટે કોઈ પુરાવા મળ્યા નથી.
સીબીઆઈએ 23 ડિસેમ્બરના રોજ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે તેની તપાસના બે વર્ષમાં, એજન્સી સાત લોકો સામે કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા શોધી શકી નથી. કોર્ટે હવે નક્કી કરવાનું છે કે શું સીબીઆઈએ કેસની તપાસ ચાલુ રાખવી જોઈએ કે પછી તે તેની તપાસ બંધ કરી શકે.

તમને જણાવી દઈએ કે 2022ના મે મહિનામાં, સીબીઆઈએ ભારતમાં સાત લોકો વિરુદ્ધ બે કેસ દાખલ કર્યા હતા. આરોપીઓની ઓળખ દિલ્હી, હૈદરાબાદ અને રાજસ્થાનથી થઈ હતી. સીબીઆઈએ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે "ક્રિકેટ સટ્ટાબાજીમાં સામેલ વ્યક્તિઓનું નેટવર્ક પાકિસ્તાન તરફથી મળેલા ઈનપુટ્સના આધારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચોના પરિણામને પ્રભાવિત કરી રહ્યું છે".
સીબીઆઈએ પહેલી એફઆઈઆરમાં દિલ્હીના રોહિણી સ્થિત દિલીપ કુમાર અને હૈદરાબાદ સ્થિત ગુરરામ વાસુ અને ગુરરામ સતીશને આરોપી તરીકે નામ આપ્યા હતા. વળી, બીજી એફઆઈઆરમાં રાજસ્થાનના સજ્જન સિંહ, પ્રભુ લાલ મીણા, રામ અવતાર અને અમિત કુમાર શર્માના આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે સીબીઆઈએ અગાઉ આક્ષેપ કર્યો હતો કે આ જૂથ તેમના ખાતામાંથી શંકાસ્પદ વ્યવહારો સાથે એક દાયકાથી વધુ સમયથી આ રેકેટ ચલાવી રહ્યું છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલીપ કુમાર "આર્થિક તર્ક" ને અવગણીને 2013થી 43 લાખ રૂપિયાથી વધુની સ્થાનિક રોકડ થાપણો ધરાવતા અનેક બેંક ખાતાઓ ચલાવતો હતો.
સીબીઆઈએ એવો પણ દાવો કર્યો હતો કે ગુરરામ સતીશ દ્વારા સંચાલિત છ બેંક ખાતાઓમાં 2012-20 દરમિયાન 4.55 કરોડ (ઘરેલું) અને રૂ. 3.05 લાખ (વિદેશી) રોકડ જમા હતી. ગુરરામ વાસુના કિસ્સામાં, આ જ સમયગાળા દરમિયાન આ રકમ 5.37 કરોડ રૂપિયા હતી. સીબીઆઈએ દાવો કર્યો હતો કે સાતેય શખ્સો પાકિસ્તાની મોબાઈલ નંબર દ્વારા પાકિસ્તાની વ્યક્તિઓના સંપર્કમાં હતા. તેઓ કથિત રીતે આઈપીએલ ગેમ્સ પર પણ સટ્ટો કરતા હતા.












Click it and Unblock the Notifications
