કોહલી વિરુદ્ધ બોલનાર એંડરસન ચેન્નઇ ટેસ્ટમાંથી બહાર
ભારતની સામે શુક્રવારથી શરુ થઇ રહેલ પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લેંડનો ઝડપી બોલર નહિ રમી શકે...
પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ પહેલા જ હારી ચૂકેલ ઇંગ્લેંડની ક્રિકેટ ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. શુક્રવારથી શરુ થઇ રહેલ પાંચમી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટમાંથી ઇંગ્લેંડનો સ્ટાર બોલર જેમ્સ એંડરસન મેચમાંથી બહાર થઇ ગયો છે.

ટેસ્ટ મેચોમાં ઇંગ્લેંડ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર એંડરસન શરીરમાં દુખાવા અને ઇજાને કારણે સીરીઝની છેલ્લી મેચ નહિ રમી શકે. આ જાણકારી ઇંગ્લેંડના કેપ્ટન એલિસ્ટર કુકે આપી છે. જેમ્સ એંડરસન છેલ્લા ઘણા સમયથી ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. ખભા પર ઇજાને કારણે છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર હતો. તે ભારત સામેની મેચથી જ પાછો આવ્યો હતો.
જેમ્સ એંડરસનની સાથે સાથે ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની છેલ્લા અગિયારમાં સામેલ થવા પર પણ આશંકા સેવાઇ રહી છે. તેણે ઇંગ્લેંડના છેલ્લા ટ્રેનિંગ સેંટર સત્ર દરમિયાન પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે.
ભારત મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ ચોથી ટેસ્ટ મેચ એક દાવ અને 36 રનના વિશાળ અંતરથી જીતીને પાંચ ટેસ્ટની સીરીઝમાં 3-0 થી આગળ છે.
એંડરસને કોહલીની ટેકનિક પર સાધ્યુ નિશાન
ચોથી ટેસ્ટ બાદ જેમ્સ એંડરસને કહ્યુ હતુ કે ભારતીય પિચો એવી છે કે જેમાં કોહલીની કમજોરીઓ છૂપાઇ જાય છે. તેણે કહ્યુ હતુ કે, 'મને નથી લાગતુ કે કોહલીમાં કંઇ બદલાવ આવ્યો હોય. અમને ઇંગ્લેંડમાં તેની સામે સફળતા મળી હતી પરંતુ અહીંની પિચો એટલી ધીમી છે કે તેની ટેકનિકલ ખામીઓ સામે નથી આવી શકતી.'
કોહલીને સામાન્ય બેટ્સમેન કહેવા અને તેની ટેકનિક પર સવાલ ઉઠવવા માટે એંડરસનની ખૂબ આલોચના થઇ હતી. ભારતના ઘણા સીનિયર બેટ્સમેનો ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામે પણ એંડરસનને ઝાટક્યો હતો.












Click it and Unblock the Notifications
