ટીમમાંથી બહાર રવિન્દ્ર જાડેજા,આ રીતે નીકળી અકળામણ
રવિન્દ્ર જાડેજાની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી સ્પષ્ટ છે કે, ટીમમાં થયેલ પરિવર્તનથી તેઓ ખાસ ખુશ નથી. સોશિયલ મીડિયા પર પણ લોકો આ પ્રકારની ટિપ્પણી કરી રહ્યાં છે. આ અંગે વધુ વાંચો અહીં...
હાલ ટીમ ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સીરિઝ રમાઇ રહી છે, જેમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. એક તરફ સમગ્ર દેશ અને ટીમ ઇન્ડિયા વિજયની ઉજવણીમાં મશગૂલ છે, ત્યાં રવિન્દ્ર જાડેજા હાલ ખૂબ હતાશ અને દુઃખી હોય એમ લાગી રહ્યું છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા અને આર.અશ્વિનને ટીમમાં લેવામાં નથી આવ્યા, બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેમણે રવિન્દ્ર જાડેજા અને આર.અશ્વિનને આરામ આપ્યો છે.
રવિન્દ્ર જાડેજાનું ટ્વીટ
જો કે, રવિન્દ્ર જાડેજાએ આ અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, તેમને આરામ આપવામાં નથી આવ્યો, પરંતુ ડ્રોપ કરવામાં આવ્યા છે. તેમના આ ટ્વીટ પર વિવાદ સર્જાતા તેમણે ટ્વીટ ડીલિટ કરી દીધું હતું. ત્યાર પછી અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, તમારી નિષ્ફળતાઓથી પોતાની વાપસી વધુ મજબૂત બનાવો.
વિવાદિત પોસ્ટ
આ બધા પછી પણ સોશિયલ મીડિયા પર તેમની વિવાદિત પોસ્ટ હજુ ચાલુ જ છે. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેમના ચહેરાની આજુબાજુ ધુમાડો જોવા મળે છે. અને તેની સાથેનું કેપ્શન પણ ચર્ચાસ્પદ છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે, મારી પોલીસ રિપોર્ટ અનુસાર ગઇ રાત્રે મેં ખૂબ શાનદાર નાઇટ આઉટ કર્યું હતું.
પૂર્વ કપ્તાન ધોનીના ખાસ છે જાડેજા
ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા પૂર્વ કપ્તાનન મહેન્દ્ર સિંહ ધોનીની ખૂબ નજીક હતા, હાલ ટીમમાં તેમની અને આર.અશ્વિનની જગ્યાએ યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને લેવામાં આવ્યા છે. પહેલી ત્રણેય વન ડે મેચોમાં આ બંને ખેલાડીઓએ પોતાની રમતથી લોકોને ખૂબ પ્રભાવિત પણ કર્યા છે. આ કારણે જાડેજા અને અશ્વિનની ટીમમાં વાપસી થોડી મુશ્કેલ હોય એમ લાગી રહ્યું છે. આથી સોશિયલ મીડિયા પર લોકો એમ પણ કહી રહ્યાં છે કે, રવિન્દ્ર જાડેજા નિરાશામાં ચીડાઇને આ પ્રકારની પોસ્ટ્સ કરી રહ્યાં છે.
ઑસ્ટ્રેલિયા વિ. ઇન્ડિયા
ઑસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝ માટે પહેલા જ્યારે બીસીસીઆઇ તરફથી ટીમ ઇન્ડિયાના નામોની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં અક્ષર પટેલનું નામ પણ હતું, પંરતુ અક્ષર પટેલ ઇજાગ્રસ્ત હોવાને કારણે તેઓ પહેલી ત્રણ મેચ રમી નહોતા શક્યા. તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને ટીમમાં લેવામાં આવ્યા હતા, આમ છતાં તેમને 3માંથી એક પણ મેચ રમવાની તક નહોતી મળી. 5 મેચોની વન ડે સીરિઝમાં 3-0થી કબજો જમાવનાર ભારતે ટીમમાં અંતિમ બે મેચો પહેલા મહત્વપૂર્ણ પરિવર્તન કર્યું છે, અક્ષર પટેલ ફિટ થતાં તેમને ફરી પાછા ટીમમાં લેવામાં આવ્યા છે અને રવિન્દ્ર જાડેજા ટીમની બહાર થઇ ગયા છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો