'પંતને બહાર કાઢ્યા પછી 5-7 સેકન્ડમાં જ ગાડી રાખ થઈ ગઈ', ઋષભને બચાવનાર ડ્રાઈવર, કંડક્ટર થયા સમ્માનિત
ઋષભ પંતને ગમખ્વાર અકસ્માતથી બચાવનાર હરિયાણા રોડવેઝના ડ્રાઈવર અને કંડક્ટરનુ સમ્માન કરવામાં આવ્યુ છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ઋષભ પંતને દિલ્લી-દહેરાદૂન હાઈવે પર ગંભીર અકસ્માતમાંથી બચાવનાર હરિયાણા રોડવેઝના ડ્રાઈવર સુશીલ કુમાર અને કંડક્ટર પરમજીતને શુક્રવારે સમ્માનિત કરવામાં આવ્યા. આ બંનેએ શુક્રવારે રુડકી પાસે ઋષભ પંતને અકસ્માતની ગંભીર જાનહાનિથી બચાવી લીધા હતા.
તમને જણાવી દઈએ કે ઋષભ પંતની કાર રુડકીની નારસન બૉર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ હતી. જેમાં તે એકલા બેઠા હતા. પંતની પીઠ, માથા અને પગમાં ઈજાઓ થઈ છે. દૂર્ઘટના સમયે પંત પોતાની કાર જાતે ચલાવી રહ્યા હતા. કાર બાદમાં બળીને રાખ થઈ ગઈ. હરિયાણા રોડવેઝના સુશીલ અને પરમજીતને ઋષભ પંતનો જીવ બચાવવા બદલ સમ્માનિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે બોલતા પાણીપત ડેપોના જનરલ મેનેજર કે જાંગડાએ જણાવ્યુ હતુ કે, 'બસ ડ્રાઈવર સુશીલ કુમાર અને કંડક્ટર પરમજીતે ગુરુકુલ નરસન પાસે ડિવાઈડર પર એક અનિયંત્રિત કાર અથડાતી જોઈ હતી. તેઓ પેસેન્જરને મદદ કરવા માટે કાર તરફ દોડી ગયા હતા. અમે તેમનુ સન્માન કર્યુ છે. માનવતા માટેના તેમના કાર્ય માટે રાજ્ય સરકાર પણ તેમનુ સન્માન કરશે.'
સ્ટાર ક્રિકેટર ઋષભ પંતને બચાવનાર બસ સ્ટાફ પરમજીતે કહ્યુ, 'જેવા અમે તેમને (ઋષભ પંત)ને બહાર કાઢયા કે તરત જ કારમાં આગ લાગી ગઈ અને 5-7 સેકન્ડમાં જ તે બળીને ખાખ થઈ ગઈ. તેમને પીઠ પર મોટી ઈજાઓ થઈ હતી. અમે તેમની વ્યક્તિગત જાણકારી વિશે પૂછ્યુ અને ત્યારે તેમણે કહ્યુ કે તે ભારતીય ટીમના ક્રિકેટર છે.'
ભૂતપૂર્વ ક્રિકેટર વીવી એસ લક્ષ્મણે પણ ટ્વીટર પર હરિયાણા રોડવેઝ સ્ટાફનો આભાર માન્યો હતો જેમણે કાર અકસ્માત બાદ ઋષભ પંતને મદદ કરી હતી. તેમણે કહ્યુ, 'ઋષભ પંતને સળગતી કારમાંથી દૂર લઈ જનાર હરિયાણા રોડવેઝના ડ્રાઈવર સુશીલ કુમારનો આભાર, તેને બેડશીટમાં લપેટીને એમ્બ્યુલન્સ બોલાવી. તમારી નિઃસ્વાર્થ સેવા માટે અમે તમારા ખૂબ જ ઋણી છીએ, સુશીલજી રિયલ હીરો.'
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નિવેદન મુજબ ઋષભ પંતની હાલત હાલમાં સ્થિર છે પરંતુ તેને કપાળ પર બે કટ લાગ્યા છે, જમણા ઘૂંટણમાં લિગામેન્ટ ફાટી ગયુ છે અને જમણા કાંડા, પગની ઘૂંટી અને પગના અંગૂઠામાં ઈજાઓ થઈ છે, પીઠ પર ઉઝરડા થયા છે. પંતને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. BCCI પંતના પરિવાર સાથે સતત સંપર્કમાં છે જ્યારે મેડિકલ ટીમ પંતની સારવાર કરી રહેલા ડૉક્ટરોના સંપર્કમાં છે.
ઋષભ પંતની ઈજા ભારતીય ક્રિકેટ માટે એક મોટો ફટકો છે કારણ કે પંત દેશના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ ટેસ્ટ વિકેટ-કીપર બેટ્સમેન બનવા માટે આકાર લઈ રહ્યો છે. તે પહેલાથી જ એવી ઘણી ઇનિંગ્સ રમી ચુક્યો છે જે ધોની તેની સંપૂર્ણ ટેસ્ટ કારકિર્દીમાં ક્યારેય આપી શક્યો ન હતો. જોકે પંત સફેદ બોલ ક્રિકેટમાં ભારતના શ્રેષ્ઠ કીપર બેટ્સમેન ધોનીની આસપાસ પણ નથી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો