હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવા માંગ, જાણો શું કહ્યું પુર્વ સિલેક્ટર શ્રીકાંતે?
T20 વર્લ્ડકપમાં ખરાબ હાર બાદ ભારતીય ટીમ પર સતત માછલા ધોવાઈ રહ્યા છે. ભારતની હાર માટે રોહિત શર્માની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
T20 વર્લ્ડકપમાં ખરાબ હાર બાદ ભારતીય ટીમ પર સતત માછલા ધોવાઈ રહ્યા છે. ભારતની હાર માટે રોહિત શર્માની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા પુર્વ ક્રિકેટરો કોચ અને કેપ્ટન બદલવાની માંગ કરી રહ્યા છે ત્યારે હવે પુર્વ સિલેક્ટર શ્રીકાંતે પણ મોટી વાત કરી દીધી છે.
પૂર્વ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે રોહિત શર્માને T20 ફોર્મેટની કેપ્ટનશીપથી હટાવવાની વાત કરી છે. શ્રીકાંતે માંગ કરી છે કે રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને T20 ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવે. તમને જણાવી દઈએ કે આ પહેલી વખત નથી, આ પહેલા ઘણા નિષ્ણાતોએ પંડ્યાને T20 ફોર્મેટનો કાયમી કેપ્ટન બનાવવાની માંગ કરી છે.
શ્રીકાંતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, જો હું વર્તમાન પસંદગી સમિતિનો અધ્યક્ષ હોત તો પણ મેં એક જ વાત કહી હોત કે 2024 T20 વર્લ્ડ કપ માટે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હોવો જોઈએ. શ્રીકાંતે કહ્યું કે આપણે ન્યુઝીલેન્ડ સામે 18 નવેમ્બરથી શરૂ થનારી ટી20 સીરીઝને 2024 ટી20 વર્લ્ડ કપની તૈયારી તરીકે જોવી જોઈએ, આ સીરીઝમાં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન છે.
શ્રીકાંતે કહ્યું કે, આપણે 2024 T20 વર્લ્ડ કપ માટે ટીમને ફરી બનાવવાની પ્રક્રિયા બે વર્ષ પહેલાથી શરૂ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે આ કામ આ અઠવાડિયે શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સિરીઝથી શરૂ થવું જોઈએ. શ્રીકાંતે કહ્યું કે વર્લ્ડ કપની તૈયારીઓ માટે 2 વર્ષ પૂરતો સમય છે, 2023 સુધીમાં ટીમને તૈયાર કરો અને ખાતરી કરો કે આ ટીમ રમશે.
શ્રીકાંતે પંડ્યાને કેપ્ટન બનાવવા પર ભાર મૂકતા કહ્યું કે, ભારતીય ટીમમાં વધુ ઝડપી બોલિંગની સાથે ઓલરાઉન્ડરને રાખવાની સૌથી વધુ જરૂર છે. શ્રીકાંતે કહ્યું કે આપણે 1983 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2007 ટી-20 વર્લ્ડ કપ કેવી રીતે જીત્યા? આ ત્રણેય વર્લ્ડ કપમાં આપણા ફાસ્ટ બોલરો ઓલરાઉન્ડર અને સેમી ઓલરાઉન્ડર હતા. આ દરમિયાન શ્રીકાંતે દીપક હુડ્ડા અને તેના જેવા ખેલાડીઓને ટીમમાં પસંદ કરવાનો આગ્રહ કર્યો હતો.