આઇસીસીની ત્રણેય ટૂર્નામેન્ટ જીતનાર પહેલો કપ્તાન બન્યો ધોની
કપ્તાન કૂલના નેજા હેઠળ ચમત્કારિક પ્રદર્શન કરી રહેલી ટીમ ઇન્ડિયાએ રવિવારે યજમાન ઇંગ્લેન્ડને માત્ર પાંચ રનથી હરાવીને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરવાની સાથે જ પોતાની સિદ્ધિઓના ખજાનામાં વધુ એક મોતી પરોવી દીધો છે.
ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં ટ્વેન્ટી 20 વિશ્વકપ અને 2011માં વનડે વિશ્વકપ જીત્યો અને સાથે સાથે ટીમ ટેસ્ટ અને વનડે રેન્કિંગમાં નંબર વન પહોંચી ગઇ છે. હવે ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી આવૃત્તિને જીતીને આ છેલ્લા કિલ્લાને પણ પાર કરી લીધો.
પોતાને ભાગ્યશાળી ગણાવતા કપ્તાને કહ્યું કે 'હું સૌભાગ્યશાળી છું કે ટીમે મારા નેતૃત્વમાં ટ્વેન્ટી 20 વિશ્વકપ, આઇસીસી વર્લ્ડકપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ હાસલ કર્યો છે. મેં આ સફળતાને હાસલ કરવા માટે કંઇ ખાસ કર્યું નથી. અમારી ટીમ ટૂર્નામેન્ટ જીતી રહી છે તે મહત્વપૂર્ણ છે અને હવે મારુ ધ્યાન ત્રિકોણીય શ્રેણી પર કેન્દ્રીત છે.'
ટીમ ઇન્ડિયા ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. વર્ષ 2002-03માં તે શ્રીલંકાની સાથે સંયુક્ત વિજેતા બની હતી જ્યારે 2000-01માં તેને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની આ છેલ્લી આવૃત્તિ હતી. આઇસીસીએ હવે આની સાથે સ્થાન પર ટેસ્ટ ચેમ્પિયન્સશિપ આયોજિત કરાવવાનો નિર્ણય કર્યો છે.