ગંભીર સામે 'ગંભીર' આરોપ લગાવ્યા ધોનીએ
નાગપુર, 12 ડિસેમ્બરઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ કોલકતા અને મુંબઇમાં મળેલી હાર વચ્ચે ટીમ ઇન્ડિયા માટે સંકટો વધી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર વચ્ચે વિખવાદ થયાના અહેવાલ છે. વેબસાઇટ ક્રિકેટનેક્સ્ટના અહેવાલ પ્રમાણે ધોનીએ ગંભીરના વલણ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેની નૈતિક જવાબદારીઓને લઇને ફરિયાદ કરી હતી.
આ ક્રિકેટરે જણાવ્યા પ્રમાણે ગંભીર રક્ષાત્મક થઇ ગયો છે અને ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં લાગ્યો છે. તેનું નબળું ફોર્મ તેને પોતાના માટે રમવા માટે મજબૂર કરી રહ્યું છે, જેને લઇને ધોની નારાજ છે. મુંબઇ ટેસ્ટની બીજી ઇનિંગમાં ગંભીર પૂછળિયા બેટ્સમેનોને બચાવવાના બદલે અણનમ પરત ફરવાનો પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો.
વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ધોનીને લાગે છે કે કોલકતા ટેસ્ટમાં પૂજારા અને સેહવાગને રનઆઉટ કરાવવામાં પણ ગંભીર જવાબદાર છે. પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આખરે એવું તે કયુ કારણ હતું કે કોલકતા ટેસ્ટમાં ઘણી બધી વાર ગંભીરે પહેલી અને બીજી બોલ પર રન લઇ લીધા અને પૂછળિયા બેટ્સમેનોને સ્વાન અને પાનેસરની બોલિંગ સામે છોડી દીધા. ભારત માટે દરેક રન મહત્વનો હતો ત્યારે ગંભીરે આવું શા માટે કર્યું.