IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બોક્સિંગ ડે ટેસ્ટ દર્શકો વિના રમાશે!
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ રમાશે. હવે સમાચાર આવી રહ્યા છે કે પ્રથમ ટેસ્ટ દર્શકો વિના રમાશે.
જોહાનિસબર્ગ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ રમાશે. હવે સમાચાર આવી રહ્યા છે કે પ્રથમ ટેસ્ટ દર્શકો વિના રમાશે, કારણ કે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે ટિકિટ વેચવા માટે તૈયાર નથી. આફ્રિકન્સ ભાષાના સાપ્તાહિક અખબાર રેપોર્ટના અહેવાલ મુજબ, સ્ટેડિયમમાં માત્ર થોડા અધિકારીઓ અને 2,000 પ્રશંસકો જ મેચ લાઈવ જોઈ શકશે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના ઘણા દર્દીઓ મળી આવ્યા છે. આ નવા સંસ્કરણથી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાથી દક્ષિણ આફ્રિકામાં સરકારે ઘણા નિયંત્રણો લાદ્યા છે.
બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી શરૂ થવાની છે, પરંતુ ટિકિટનું વેચાણ હજુ શરૂ થયું નથી. સ્ટેડિયમના સત્તાવાર ટ્વિટર હેન્ડલે તાજેતરમાં જ આ અંગે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી કે ટિકિટનું વેચાણ હજૂ ખુલ્યું નથી, આવનારા દિવસોમાં ફેન્સને અપડેટ કરશે. ટ્વીટમાં કહેવામાં આવ્યું કે, કૃપા કરીને નોંધ કરો, દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાનારી આગામી ટેસ્ટ મેચ માટે ટિકિટના વેચાણ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં તે સ્પષ્ટ નથી કે ચાહકોને મંજૂરી આપવામાં આવશે કે નહીં. અમે થોડા દિવસોમાં વધુ જાહેરાત કરીશું.
નોંધનીય છે કે ગયા મહિને દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. ઓમિક્રોન વધુ ખતરનાક છે અને નિષ્ણાતો કહે છે કે તે વાયરસને ઝડપથી ફેલાવી શકે છે. એશિઝ શ્રેણીમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. બ્રોડકાસ્ટિંગ ટીમના એક સભ્યને કોરોના થયો છે. જ્યાં સુધી ટીમ ઈન્ડિયાનો સવાલ છે, વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ 16 ડિસેમ્બરે રેઈન્બો નેશન પહોંચી હતી. સીએસએ સીરિઝ માટે કડક બાયો-બબલ જાળવવા આખો રિસોર્ટ બુક કર્યો છે.