IPL 2021: ઈંગ્લેન્ડના ખેલાડીઓ સિઝન-2 માં રમશે, BCCI એ જાણકારી આપી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું છે કે, ઇંગ્લેન્ડના ખેલાડીઓ બાકીની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માં ભાગ લેશે. બોર્ડને આ માટે લીલીઝંડી મળી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું છે કે, ઇંગ્લેન્ડના ખેલાડીઓ બાકીની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માં ભાગ લેશે. બોર્ડને આ માટે લીલીઝંડી મળી છે, જે યુએઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. બીજી તરફ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની સિરિઝ મુલતવી રાખવામાં આવશે, જેથી ઇંગ્લેન્ડના ખેલાડીઓ IPL 2021 માટે યુએઇ જઈ શકે શકે.
ઇંગ્લેન્ડની ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં 3 મેચની વનડે અને ટી 20 સિરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની હતી, જો આમ થયુ હોત તો આઇપીએલ અને સિરિઝ બન્ને સાથે થતી. જો કે હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આગામી વર્ષની શરૂઆતમાં આ સિરિઝ યોજવાનું આયોજન કરી રહી છે.
ઇંગ્લેન્ડના ખેલાડીઓ હવે યુકેથી યુનાઇટેડ આરબ અમીરાત જવા માટે ભારતીય ખેલાડીઓ સાથે એક જ ચાર્ટર્ડ પ્લેનમાં રવાના થશે અને આ બબલ-ટુ-બબલ ટ્રાન્સફર હશે. ભારત અને ઈંગ્લેન્ડ 4 ઓગસ્ટથી પાંચ ટેસ્ટની સિરિઝ રમશે આ સિરિઝ IPL 2021 ની શરૂઆતના 5 દિવસ પહેલા 14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. નોંધનીય છે કે, ઓક્ટોબરમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 2 મેચની ટી-20 સિરીઝ યોજાશે.
જોસ બટલર, જોની બેયરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરેન, ટોમ કુરેન જેવા કેટલાક મોટા ખેલાડીઓ યુએઈ જઈ રહ્યા છે. બીજી તરફ એ જોવાનું રહે છે કે માનસિક સ્વાસ્થ્યને લઈને બ્રેક લેનાર બેન સ્ટોક્સ રાજસ્થાન રોયલ્સ માટે મેદાનમાં ઉતરશે કે નહીં. ઇંગ્લેન્ડના ખેલાડીઓ આઇપીએલ 2021 ના બાકીના મેચમાં રમશે પરંતુ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ તેમની સાથે જોડાશે કે નહીં એ હજુ નક્કી નથી. આ ટીમોએ આ સમયે આંતરરાષ્ટ્રીય મેચ પણ રમવાની છે.