એકમાત્ર ઇશાંતે નથી મેળવી આ સિદ્ધિ
નવી દિલ્હી, 21 જુલાઇઃ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી ભલે બન્ને ટીમોના મુખ્ય બેટ્સમેનો માટે જોઇએ તેટલી સફળ ના સાબિત થઇ રહી હોય, પરંતુ પૂછડિયા ખેલાડીઓ માટે આ ઘણી જ સફળ સાબિત થઇ રહી છે.
નોંધનીય છેકે, બન્ને ટીમોના 22 ખેલાડીઓમાંથી 21 ખેલાડી એવા છેકે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારેલી છે, માત્ર ઇશાંત શર્મા જ આ યાદીમાંથી બહાર છે. પૂછડિયા બેટ્સમેન સતત ઉમદા પ્રદર્શન કરી રહ્યાં છે. જેને જોઇને એવી આશા રાખવામાં આવી રહી છેકે આગામી મેચોમાં ઇશાંત શર્મા પણ આ સિદ્ધિ હાંસલ કરી લેશે. શ્રેણી શરૂ થઇ તે પહેલા છ ખેલાડી એવા હતા, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં અડધી સદી ફટકારી નહોતી, પરંતુ ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા, લિએમ પ્લંકેટ અને જેમ્સ એન્ડરસને અડધી સદી ફટકારીને આ યાદીમાંથી પોતાને બહાર કરી લીધા છે.

ભુવનેશ્વર શ્રેણીમાં સર્વાધિક રન બનાવનરો બીજો ખેલાડી બની ગયો છે, તેણે 69.66ની એવરેજથી 209 રન બનાવ્યા છે, જ્યારે 317 રન સાથે મુરલી વિજય આ યાદીમાં સૌથી ઉપર છે. ઇશાંત શર્માની વાત કરીએ તો ટેસ્ટ કારકિર્દીમાં તેનો સર્વોચ્ચ સ્કોર 31 રન છે, જે તેણે 18 જુલાઇ 2010ના રોજ શ્રીલંકા વિરુદ્ધ ફટકાર્યો હતો. બેટિંગમાં ભલે ઇશાંત આ સિદ્ધિ હાંસલ ના કરી શક્યો હોય પરંતુ તેણે ઇંગ્લેન્ડના સુકાની એલિસ્ટર કૂકને આઠમી વાર પેવેલિયનનો રસ્તો દેખાડ્યો છે. ઇશાંત દ્વારા કોઇપણ ઇંગ્લિશ બેટ્સમેનને સૌથી વધુ વખત આઉઠ કરવાનો આ રેકોર્ડ છે. બીજી તરફ કૂક પણ ક્યારેય અન્ય કોઇ બોલરના હાથે આટલીવાર આઉટ થયો નથી.












Click it and Unblock the Notifications
