સચિન પર નિવૃતિનો દબાણ નાખવું ન જોઇએ: અબ્દુલ કાદિર
અબ્દુલ કાદિરે જણાવ્યું હતું કે ''ઇમરાન ખાને કહ્યું હતું કે ખેલાડીએ શિખર પર પહોંચ્યા પછી સંન્યાસ લઇ લેવો જોઇએ જે ખોટું નથી. પરંતુ સચિન એક ખાસ ખેલાડી છે અને તેમનો દરજ્જો ખૂબ ઉંચો છે. તે ભારતના જ નહીં પણ ક્રિકેટ જગતના કોહિનૂર છે અને તેમને પોતાને નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઇએ કે તેમને હજુ કેટલા સમય સુધી રમવું છે.'' 1989માં પોતાન કેરિયરની શરૂઆત કરનાર સચિન તેંડુલકર સામે પ્રથમ મેચમાં બોલીંગ કરી ચૂકેલા કાદિરે કહ્યું હતું કે સચિને ક્રિકેટને ઘણું બધુ આપ્યું છે.
કુદરતે તેમને ખાસ કળાથી નવાજ્યા છે આવો ખેલાડી યુગમાં એક જ હોય છે. તે વતનપ્રેમી પણ છે અને જે દિવસે સચિનને લાગશે કે તે ભારતીય ક્રિકેટને કશું આપી શકતા નથી ત્યારે તે પોતે ક્રિકેટને અલવિદા કરી દેશે. અબ્દુલ કાદિરે કહ્યું હતું કે સચિનની ટીકા કરનારાઓને હું એટલું જ કહીશ કે છેલ્લા 20 વર્ષોમાં તેમણે મેળવેલી સિદ્ધિઓ અને રેકોર્ડ પર નજર કરે.