ટીમમાં ભલે ના હોવ પરંતુ દિલ હંમેશા દેશ માટે ધડકશેઃ સચિન
મુંબઇ, 17 નવેમ્બરઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24 વર્ષ રમ્યા બાદ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી અને ક્રિકેટનો પર્યાય બની ગયેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દ્વારા પોતાની નિવૃત્તિ બાદ પહેલી વહેલી પ્રેસ કોન્ફરન્સ આજે મુંબઇ ખાતે સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તેનો નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય હતો.
સચિન તેંડુલકરે કહ્યું કે, જ્યારે મે મારી અંતિમ મેચ રમી ત્યારે મારી આંખમા આસું હતા. મે મારી પત્ની સાથે નાસ્તો કર્યો હતો. હવે હું થોડોક સમય આરામ કરીશ, 24 વર્ષ સુધી રમ્યા કરવું એ મારા માટે સૌથી મહત્વનું છે. તેમણે કહ્યું કે, મે નિવૃત્તિ માટે યોગ્ય સમય પસંદ કર્યો છે. જ્યારે મને લાગ્યું કે, મારે નિવૃત્તિ લેવાની છે, ત્યારે મે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણા સમયથી મારી નિવૃત્તિને લઇને પ્રશ્નો ઉઠી રહ્યાં હતા. શરીરે મને નિવૃત્તિ લેવાના સંકેતો આપી દીધા હતા.
ક્રિકેટ મારા માટે ઓક્સિજન સમાન
સચિને આ તકે કહ્યું કે ક્રિકેટ મારા માટે ઓક્સિજન સમાન છે. ક્રિકેટના અંતિમ દિવસે હું મારી ભાવનાઓને રોકી શક્યો નહીં. મારી આંખોમાંથી આસું નીકળી પડ્યા હતા. વિદાય વખતે મારા કોચ આચરેકરે મને વેલડન કહ્યું હતું.
માતાને અંતિમ મેચ દર્શાવવા માગતો હતો
સચિને વધુમાં કહ્યું કે, હું મારી માતાને અંતિમ મેચ દર્શાવવા માગતો હતો. મારી મુંબઇમાં અંતિમ મેચ રમવાની ઇચ્છા હતી, બીસીસીઆઇને મે અનુરોધ કર્યો હતો અને તેમણે તેનો સ્વિકાર કર્યો હતો.
ભારત રત્ન દરેક માતાને સમર્પિત
તેમણે વધુમાં કહ્યું કે, ભારત રત્ન દેશની એ દરેક માતાને સમર્પિત કરું છું, જેમણે બાળકોમાં માટે ત્યાગ આપ્યો છે. દરેક એ ખેલાડી કે જેઓ દેશ માટે રમ્યા છે. આ ભારત રત્ન માત્ર માતાને નહીં પરંતુ ભારતને સમર્પિત છે.
પ્રો. રાવ સાથે નામ જોડાવાથી સન્માનિત
આ તકે સચિને કહ્યું કે, ભારત રત્ન માટે મારું નામ પ્રો. રાવ સાથે મારું નામ જોડાયું તે મારા માટે સન્માનની વાત છે. ભારત રત્ન મળવા બદલ હુ પ્રો. રાવને શુભેચ્છા પાઠવું છે. મને ભારત રત્ન મળવાથી ખેલાડીઓ માટે દરવાજા ખુલ્યા છે.
ઇજા દરમિયાન ઘણો ભાવનાત્મક હતો
સચિને કહ્યું કે, ઇજાના દોરમાંથી ગુજરતી વખતે ઘણો ભાવનાત્મક હતો. ઇજામાંથી બહાર આવવું સહેલું નથી હોતું. દરેક વખતે મારી સામે નવું લક્ષ્ય રહેતું હતું. કુદરતને સમ્માન આપવું ઘણું મહત્વનું છે. મને ટેનિસ એલ્બોમાંથી ઉભરવામાં સાડા ચાર મહિનાનો સમય લાગ્યો હતો. મને સંગીતથી ઘણો લગાવ હતો, પરંતુ કોઇ મનપસંદ ગીત બતાવવું સહેલું નથી.
દિલમાં હંમેશા ભારત છે
સચિને કહ્યું કે, તે ભાવુક એ વાતને લઇને છે કે, હવે ભારત તરફથી રમવા માટે પીચ પર નહીં આવી શકુ. હું ક્રિકેટર્સની નવી પેઢીને મદદ કરતો રહ્યો છું અને આગળ પણ કરતા રહેવાનો વિચાર છે. 22 ગજની પીચે મને ઘણુ બધુ આપ્યું છે. તે મારા માટે મંદિર જેવું છે. હું ભલે દેશ માટે રમી રહ્યો ના હોવ, પરંતુ મારા દિલમાં હંમેશા દેશની જીત માટે ઘડકતું રહેશે. હજુ સુધી વિશ્વાસ નથી આવી રહ્યો કે, હવે ક્રિકેટ નથી રમવાનો.
પુત્રની સ્ક્રિપ્ટ ઉપરવાળા લખશે
સચિને પોતાના પુત્ર અંગે કહ્યું કે, મારું કિસ્મત ઉપરવાળાએ લખ્યું છે, મારા પર પરિવારનું દબાણ નહોતું નહીંતર હુ આજે પેન પકડીને લખી રહ્યો હોત. તેવી જ રીતે મારા પુત્ર પર પણ કોઇ દબાણ નથી. તેની સ્ક્રિપ્ટ ઉપરવાળા લખશે.