ક્રિકેટને સચિનનું ગુડબાય, ક્યાં ખોવાઇ ગયા સંદીપ પાટીલ?
મુંબઇ, 18 નવેમ્બરઃ આજે એક પ્રશ્ન દરેક ક્રિકેટ પ્રેમીને ઉઠી રહ્યો છે કે, જ્યારે ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર દ્વારા ક્રિકેટને અલવીદા કહેવામાં આવ્યું ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડના ચીફ સિલેક્ટર સંદીપ પાટીલ ક્યાં જતા રહ્યાં છે. કેટલાક પૂર્વ ખેલાડીઓને પણ વિશ્વાસ છે કે, ત્રણેય દિવસ કે જે સમયે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હતી, એ સમયે પણ સંદીપ પાટીલ ત્યાં જોવા મળ્યા નહોતા. આ અંગે એક પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, મે સંદીપ પાટીલને સચિનની અંતિમ મેચ દરમિયાન વીઆઇપી બોક્સમાં પણ જોયા નહોતા.
નોંધનીય છે કે, સચિન તેંડુલકરે જ્યારે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચાર્યું ત્યારે તેણે બીસીસીઆઇને પત્ર લખ્યો હતો, ના કે સંદીપ પાટીલને. આ ઉપરાંત સચિન દ્વારા તેની ફેરવેલ સ્પીચ દરમિયાન પણ વિવાદ હોવાની વાત આડકતરી રીતે જણાઇ રહી હતી, કારણ કે સચિને પોતાની ફેરવેલ લિસ્ટમાં હાલની પસંદગી કમિટીનો ઉલ્લેખ કર્યો નહોતો.
જો કે, બીજી તરફ સંદીપ પાટીલ એ વાતનો ઇન્કાર કરી રહ્યાં છે કે, સચિન દ્વારા લેવામાં આવેલી નિવૃત્તિ પાછળ તેમનો હાથ છે. તેમણે કહ્યું કે, સચિનને મળવું એક ગૌરવની વાત હશે, પરંતુ હું તેમને છેલ્લા 10 મહિનાથી મળ્યો નથી. ના તો મે તેમને ફોન કર્યો છે અને ના તો તેમણે મને ફોન કર્યો છે. નોંધનીય છે કે, ઉક્ત વાત તેમણે સપ્ટેમ્બર મહિનામાં કહીં હતી, જ્યારે સચિનના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થ થઇ રહ્યાં હતા.