પાંચ બોલરની રણનીતિ માટે ધોની લેશે સહેવાગનો 'ભોગ'

ઇંગ્લેન્ડ સામેની મેચમાં પણ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પાંચ બોલરની રણનીતિ અપનાવતા ટીમમાં ઇરફાન પઠાણ, અશોક ડિંડા, બાલાજી, હરભજન સિંહ અને પિયુષ ચાવલાને સમાવ્યા હતા. ભજ્જી અને ચાવલાએ મળેલી તકનો ફાયદો ઉઠાવતા ઇંગ્લેન્ડની બેટિંગ લાઇને ધ્વસ્ત કરી નાંખી હતી, જો કે પોતાની બોલિંગથી સારું પ્રદર્શન કર્યું હોવા છતાં પણ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ચાવલાને તક નહીં આપવામાં આવે અને તેના સ્થાને અશ્વિનનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ અશોક ડિંડાએ ઝહીર ખાન માટે માર્ગ મોકળો બનાવી દીધો છે.
હવે ટીમ મેનેજમેન્ટમાં એક એવો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે સહેવાગને અંતિમ ઇલેવનમાં કેવી રીતે સમાવવો. હાલની તકે એકમાત્ર વિકલ્પ એ છે કે રૈનાના સ્થાને સહેવાગને ટીમમાં સામેલ કરવામાં આવે, પરંતુ આ ડાબોડી બેટ્સમેને મધ્યક્રમની બેટિંગમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે અને બીજી બાબત એ પણ છે કે તેને ધોનીનો સંપૂર્ણ સહયોગ છે.
નોંધનીય છે કે અશ્વિન, ઝહીર અને સહેવાગને ઇંગ્લેન્ડ સામેની મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની મેચમાં ફોર્મ પરત મેળવીને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, તો યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવા અંગે વિચારી શકાય તેમ પણ નથી. ત્યારે બની શકે છે કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામેના સુપર-8 મુકાબલામાં વિરેન્દ્ર સહેવાગને પડતો મુકશે. અને જો સહેવાગ વગર ટીમ ઇન્ડિયા વિજયી બનશે તો એ વાત પણ નક્કી છે કે દિલ્હીનો આ વિસ્ફોટક બેટ્સમેન હાંસિયામાં ધકેલાઇ જશે.












Click it and Unblock the Notifications
