એક ગામ જ્યાં હનુમાનજીની પૂજા પર છે પ્રતિબંધ...
દેવભૂમિ ઉત્તરાખંડમાં જ એક જિલ્લો છે, જ્યાં ખુદ દેવ સજા ભોગવી રહ્યા છે. ઉત્તરાખંડના એક ગામમાં હનુમાનજીની પૂજા પર પ્રતિબંધ છે.
દરેક વ્યક્તિને પોતાની ભૂલોની સજા મળે છે, પછી તે નાનો હોય કે મોટો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે, કે જો ભગવાનથી ભૂલ થાય તો તેમને પણ સજા મળે છે ? તમે કહેશો કે ભગવાનને સજા આપનાર આપણે કોણ ! પરંત ભારતમાં જ એક ગામ એવું છે, જ્યાં લોકોએ આપી છે ભગવાનને સજા અને સાબિત કર્યું કે ભૂલ ભલે ભગવાનની હોય, પરંતુ નિયમ અને સજા બધા માટે બરાબર છે.
દેવભૂમિ ઉત્તરાખંડમાં જ એક જિલ્લો છે, જ્યાં ખુદ દેવ સજા ભોગવી રહ્યા છે. ઉત્તરાખંડના એક ગામમાં હનુમાનજીની પૂજા પર પ્રતિબંધ છે. એક તરફ જ્યાં આખો સંસાર રક્ષા માટે બાહુબલી હનુમાનજીનું સ્મરણ કરે છે, ત્યાં આ ગામમાં હનુમાનજીને યાદ પણ નથી કરાતા. એટલું જ નહીં આખા ગામમાં સમ ખાવા પૂરતુ હનુમાનજીનું એક પણ મંદિર નથી.
ક્યાં નથી થતી હનુમાનજીની પૂજા?
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા દ્રોણાગિરીમાં હનુમાનની પૂજા પર પ્રતિબંધ છે. દ્રોણગિરી પર્વત ચમોલી જિલ્લાના જોશીમઠ બ્લોકમાં છે. આ પર્વતની તળેટીમાં વસેલું છે દ્રોણાગિરી ગામ.
આખરે કેમ ગામના લોકોએ હનુમાનનો કર્યો બહિષ્કાર?
હનુમાનજીની પૂજા ન કરવા પાછળ એક પૌરાણિક કથા છે. કહેવાય છે કે જ્યારે લંકામાં યુદ્ધ દરમિયાન લક્ષ્મણ બેભાન થઈ ગયા, ત્યાર તેમનો જીવ બચાવવા હનુમાનજીને સંજીવની જડીબૂટ્ટી લેવા કહેવાયું. દ્રોણાગિરીના લોકો માને છે કે સંજીવની લેવા આવેલા હનુમાનજી તે સમયે દ્રોણાગિરી પર્વતનો એક ભાગ પણ ઉઠાવીને લઈ ગયા. દ્રોણાગિરીના લોકો આ પર્વતની પૂજા કરે છે. કારણ કે હનુમાનજી આ પર્વતનો એક ભાગ લઈ ગયા તેને લીધે ગામના લોકો હનુમાનજીથી નારાજ છે.
વૃદ્ધ મહિલાનો પણ સમાજે કર્યો હતો બહિષ્કાર
ગામમાં એક વાર્તા એવી પણ છે કે સંજીવની લેવા આવેલા હનુમાનજીને સંજીવની વિેશે માહિતી આપનાર અને મદદ કરનાર વૃદ્ધ મહિલાને પણ બહિષ્કૃત કરી દેવાઈ હતી. એટલું જ નહીં આ ગામમાં પર્વત દેવની વિશેષ પૂજા કરાય છે. જે દિવસે પર્વતની પૂજા થાય તે દિવસે ગામના પુરુષો મહિલાઓના હાથનું ભોજન નથી કરતા. તો મહિલાઓને આ પૂજામાં ભાગ લેવાની પરવાનગી પણ નથી
હાલ ક્યાં આવેલો છે આ પર્વત
વાલ્મિકી રચિત રામાયણ અનુસાર, લક્ષ્મણ ભાનમાં આવ્યા બાદ હનુમાન દ્રોણાગિરી પર્વતને યથાસ્થાને મૂકી આવ્યા હતા, તો તુલસીદાસ કૃત રામચરિત માનસ અનુસાર હનુમાનજીએ પર્વતને પાછો નહોતો મૂક્યો, અને લંકામાં જ રહેવા દીધો હતો. એક માન્યતા અનુસાર આ પર્વત હાલ શ્રીલંકાના દૂરના વિસ્તારોમાં છે. તેને શ્રીપદ અથવા તો એડમ્સ પીક નામથી ઓળખાય છે, આ પર્વત પર એક મંદિર પણ છે, જેને શ્રીલંકન લોકો હુમાશાલા કાંડા કહે છે.