મોરબી હાઈવે પર ટ્રક, કાર અને બાઈકની ટક્કરમાં ૩ના મોત
મોરબી-રાજકોટ હાઈવે રોડ ઉપર આજે સવારે ટ્રક, મોટરસાયકલ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થતા ૩ના મોત થયા હતા.
ઉપલબ્ધ માહિતી અનુસાર આજે ટંકારા પાસે રાજકોટ થી કપાસીયા ભરીને આવતાી ટ્રકે આગળ જતા મોટરસાયકલ સવારને અડફેટે લેતા ટ્રક રોંગ સાઈડમાં ધસી ગઇ હતી અને સામેથી મોરબી તરફથી આવતી વેગન આર કાર સાથે મોટરસાયકલ સવારની ટક્કર થઇ હતી. આ ત્રિપલ અકસ્માત બાદ કારમાં આગ ભભૂકતા કારમાં બેઠેલા બે વ્યકિત જીવતા ભુંજાઇ ગયા હતા તેમજ બાઈક સવાર ગોવિંદભાઈ પેથાભાઈ રબારી (રહે. હળમતીયા)ને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ટંકારા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
ગાડીમાં રાજકોટના માતા-પુત્રનું મોત થયું હોવાની શંકા
ટંકારા પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતા આ કાર ભૂજની હોવાનું ખુલ્યુ હતું. જો કે આ કાર રાજકોટના ગરાસીયા પરિવારને વેચી દીધી હોવાનું ખુલતા પોલીસે રાજકોટમાં રહેતા ગરાસીયા પરિવારનો સંપર્ક કરતા રાજકોટના સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર આવેલ પવનપાર્કમાં રહેતા જયપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૪) તથા તેના માતા કિરણબા મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.પ૮) આ વેગનઆર કારમાં તેના વતન માળીયામિંયાણાના મોટા દહીંસરા ગામે લગ્નમાં હાજરી પુરાવી રાજકોટ પરત ફરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે મોટા દહીંસરા ખાતે તપાસ કરતાં રાજકોટ રહેતા જયપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેના માતા સાથે આજે સવારે રાજકોટ જવા નીકળ્યાનું સમર્થન મળ્યું હતું. આ બન્ને માતા-પુત્રનો આજ બપોર સુધી કોઈ સંપર્ક ન થતાં ટંકારા પાસે અકસ્માતમાં સળગી ઉઠેલ કારમાં આ બન્ને માતા-પુત્રનું જ મોત થયુ હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે.
કાર બળીને ભડથું, હાથ લાગી માત્ર એક બંગડી
ટંકારાના પીએસઆઈ ઝાલા તથા સ્ટાફે રાજકોટ રહેતા જયપાલસિંહ જાડેજાના સગા-સંબંધીઓને લાશ અને કારની ઓળખ માટે ટંકારા આવવાનું જણાવ્યું છે. કારમાં સળગી ગયેલ બન્ને લાશની ઓળખ મળે તેવા કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી. કારમાંથી માત્ર એક બંગડી મળી છે, જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત કાર સળગી ઉઠી તે કારની નંબર પ્લેટમાં જીજે ૧૨ની સીરીઝ વંચાય છે અને આગળના નંબરો સ્પષ્ટ દેખાતા નથી. આ કાર કચ્છ-ભૂજની હોવાનું માની પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક પણ કચ્છ પંથકના હોવાનું મનાય છે. કારના નંબર મળ્યા બાદ મૃતકની ઓળખ થશે. વધુ તપાસ ટંકારાના પી.એસ.આઈ. ઝાલા ચલાવી રહ્યા છે.
અહીં વાંચો - સાધ્વી જયશ્રીગીરી સામે ફરિયાદનો સિલસિલો યથાવત
આ બનાવને પગલે અકસ્માત સ્થળે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. મોરબીથી મીની ફાઇટર બોલાવી તથા ટંકારાના પાણીના ટેન્કર દ્વારા આગ બુઝાવવામાં આવી હતી. ટંકારાના પીએસઆઇ ઝાલા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ક્રેન મંગાવી કારને ટ્રકથી જુદી પાડી હતી.