સાધ્વી જયશ્રીગીરી સામે ફરિયાદનો સિલસિલો યથાવત
સાધ્વી જયશ્રીગીરીની મુશ્કેલીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સાધ્વી જયશ્રીગીરી કાનૂનના સકંજામાં આવી ગયા છે, આથી સાધ્વીથી પીડિત લોકો પણ હવે સામે આવી રહ્યાં છે.
સાધ્વી જ્યશ્રીગિરી કાયદાની પકડમાં આવતાં જ પીડિત લોકો હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. પાંચ કરોડના સોનાની છેતરપીંડી સહિત દારૂ સાથે પકડાયા બાદ હવે સાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ એક પછી એક ફરિયાદો સામે આવી રહી છે. બનાસકાંઠા જીલ્લામાં જ અત્યાર સુધી છેતરપીંડીની 4 અને 1 પ્રોહીબીશનની એમ કુલ પાંચ ફરિયાદ નોંધાઈ છે. અત્યારે સાધ્વી જયશ્રીગીરી પ્રોહીબીશનના ગુનામાં પોલીસ રિમાન્ડ પર છે ત્યારે તેની સામે ફરિયાદો થતાં હવે કાયદાનો સકંજો સાધ્વી વિરુદ્ધ વધુ કસાયો છે. પોલીસ હવે નવા ગુનામાં પણ તેની સામે રિમાન્ડની માંગણી કરશે તેવું જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરે જણાવ્યું હતું.

પઠાણી ઉઘરાણી માટે જાણીતી સાધ્વી જયશ્રીગીરીના વ્યાજખોરીના ભરડામાં આવી ગયેલા લોકો હવે સામે આવી રહ્યા છે. સાધ્વી વિરુદ્ધ હવે લોકો ખુલીને સામે આવી રહ્યા છે. કાયદાની ચુંગાલમાં આવેલી સાધ્વીની જેલ યાત્રા લંબાય તેવા એંધાણ મળી રહ્યાં છે.
અમદાવાદમાં તપાસનો ધમધમાટ
પાલનપુર ના મુક્તેશ્વર મઠના વિવાદિત સાધ્વી જ્યશ્રીગિરી સામેના છેતરપિંડી કેસમાં ઝડપાયેલો સહ આરોપી ચિરાગ રાવલ હાલમાં પોલિસ રિમાન્ડ પર છે. ચિરાગને લઈ પોલીસ અમદાવાદ તપાસ અર્થે ગઈ હોવાના અહેવાલ સાંપડ્યા છે. સાધ્વી અને ચિરાગ 16 કિલો સોનું લઇ અમદાવાદ પહોંચ્યા હોવાની વાતને લઈને પોલીસ ચિરાગ સાથે આખી ઘટનાનું રિકન્ટ્રક્શન કરશે તેવા અહેવાલ મળ્યા છે. ચિરાગ રાવલ સાધ્વીના અનેક ગુનાઓમાં તેનો સાથીદાર અને સહયોગી રહ્યો છે. ચિરાગ રાવલ સાધ્વીના કેસમાં પોલીસ માટે સૌથી મહત્વની કડી હોઈ પોલીસે ક્રોસ ઇન્વેસ્ટિગેશન સાથે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.












Click it and Unblock the Notifications
