માવઠાથી ગુજરાતના 16 હજાર ગામોની 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન
ગાંધીનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે મહત્વની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે રાજ્યના ૧૬,૦૦૦ ગામોમાં લગભગ ૪૨ લાખ હેક્ટર જમીનને વરસાદથી અસર થઈ છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર ટૂંક સમયમાં ખેડૂતો માટે સહાયની જાહેરાત કરે તેવી સંભાવના છે.
જીતુ વાઘાણીએ કહ્યું છે કે રાજ્ય સરકાર STRFના નિયમોથી ઉપર જઈને ખેડૂતોને ટોપ-અપ સહાય પૂરી પાડશે. આ સહાય રાજ્ય સરકારના બજેટમાંથી ચૂકવવામાં આવશે, જે નિયમો કરતાં પણ વધુ હશે. જો જરૂર જણાશે તો કેન્દ્ર સરકાર પાસેથી પણ સહાયની માંગણી કરવામાં આવશે, જે અંગેનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી લેશે.

આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને તેઓ સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.
જીતુ વાઘાણીએ વધુમાં માહિતી આપી કે ૯ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદીમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા પાકોનો સમાવેશ થાય છે. ખેડૂતોએ પોતાના પાક ખરીદી કેન્દ્રો પર લાવવાના રહેશે અને પ્રત્યેક ખેડૂત દીઠ ૧૨૫ મણની ખરીદી કરવામાં આવશે.
મગફળીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ પ્રતિ ક્વિન્ટલ ૪૮૦ નો વધારો કરાયો છે, જે ખેડૂતો માટે રાહતરૂપ બની શકે છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનને કારણે ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો છે.












Click it and Unblock the Notifications
