રૂદ્રાક્ષ ધારણ કરવાના છે અનેક લાભ, જાણો અહીં.
આપણા શાસ્ત્રોમાં રૂદ્રાક્ષ પહેરવાના અનેક ફાયદાઓ વર્ણવાયા છે, એ અંગે માહિતી મેળવો અહીં...
રૂદ્રાક્ષ એક એવું ફળ છે જે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ પ્રદાન કરવામાં મહત્વનું સાબિત થયું છે. શિવપુરાણ, પદ્મપુરાણ, રૂદ્રાક્ષકલ્પ, રૂદ્રાક્ષ મહાત્મય વગેરે ગ્રંથોમાં રૂદ્રાક્ષની અપાર મહિમાનું વર્ણન જણાવેલું છે. આમ તો રૂદ્રાક્ષ કોઈ પણ હોય તો લાભ આપે જ છે, પણ તેના મુખને આધારે તેનું મહત્વ અલગ અલગ જણાવવામાં આવ્યું છે. દરેક રૂદ્રાક્ષ ઉપર ધારીઓ હોય છે, આ ધારીઓને રૂદ્રાક્ષનું મુખ કહે છે. આ ધારીઓની સંખ્યા 1 થી લઈ 21 સુધીની હોઈ શકે છે, આ ધારીઓને ગણી રૂદ્રાક્ષનું વર્ગીકરણ 1થી 21 મુખી રૂદ્રાક્ષમાં કરવામાં આવે છે.

રૂદ્રાક્ષ અંગે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
જે માળાથી તમે જાપ કરો છો તેને ધારણ કરવી નહિં. રૂદ્રાક્ષને શુભ મુહૂર્તમાં જ ધારણ કરવું જોઈએ. તેને વીંટીમાં જડાવી ધારણ ન કરવું. એવું મનાય છે કે જે પૂરાં નિયમ અને પૂરતી શ્રદ્ધાથી રૂદ્રાક્ષ ધારણ કરે છે તેમના દરેક દુઃખો દૂર થાય છે, તેમની ઈચ્છાઓ પૂરી થાય છે. કહેવાય છે કે, જે ઘરોમાં રૂદ્રાક્ષની પૂજા થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ રહે છે. રૂદ્રાક્ષ ભગવાન શંકરની પ્રિય વસ્તુ મનાય છે.

ધાર્મિક ફાયદા
ધાર્મિક માન્યતા પ્રમાણે જે ઘરમાં રૂદ્રાક્ષની નિયમિત પૂજા થાય છે ત્યાં અન્ન, વસ્ત્ર, ધન-ધાન્યની ક્યારેય ખોટ રહેતી નથી. આવા ઘરોમાં લક્ષ્મી હંમેશા વાસ કરે છે. એવું મનાય છે કે, રૂદ્રાક્ષને હંમેશા ધારણ કરનારો અને તેની પૂજા કરનાર અંતકાળમાં શરીરનો ત્યાગ કરી શિવલોકમાં સ્થાન મેળવે છે.

શંકરના આંસુઓથી બનેલ
પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે, સતીના દેહ ત્યાગથી શિવને ખૂબ દુઃખ થયું હતું અને તેમની આંખોમાંથી આંસુ પડ્યા હતા, જેમાંથી રૂદ્રાક્ષ ઉત્પન્ન થયા છે. પરિણામે રૂદ્રાક્ષ ધારણ કરનારાના દરેક દુઃખો ભગવાન દૂર કરે છે. કહેવાય છે કે, રૂદ્રાક્ષ જેટલો નાનો, તેટલો જ તે વધુ અસરકારક હોય છે. તે સફળતા, ધનસંપત્તિ, માન-સન્માન અપાવે છે. જુદી-જુદી ઈચ્છા પ્રમાણે જુદા-જુદા રૂદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.

જ્યોતિષિય લાભ
જ્યોતિષની દ્રષ્ટિએ પણ રૂદ્રાક્ષ ધારણ કરવાના અનેક ફાયદા છે. જ્યોતિષ પ્રમાણે મનુષ્યના બિમાર રહેવા પાછળ અનેક પ્રતિકૂળ ગ્રહોની ભૂમિકા હોય છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહોની પ્રતિકૂળતા દૂર થાય છે. પછી ભલે શનિની સાડાસાતી હોય કે શનિએ ચંદ્રને પીડિત કરી જીવનમાં દુઃખો ભર્યા હોય; આવી અનેક સ્થિતિમાં રૂદ્રાક્ષ ફાયદાકારક નીવડે છે.

કાલસર્પ યોગને દૂર કરે છે
કાલસર્પને કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આવી સ્થિતિમાં પણ રૂદ્રાક્ષ ધારણ કરવાથી અનુકૂળ ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ શુભ દિવસે ગંગા સ્નાન કરવાનું મન થાય અને તે શક્ય ન હોય ત્યારે રૂદ્રાક્ષને માથા પર મુકી ભગવાન શંકરનું ધ્યાન કરવાથી ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે.












Click it and Unblock the Notifications
