Dussehra: નવરાત્રિ પછી ઉજવાતા હિંદુ ધર્મના મોટા તહેવાર વિજયાદશમીની કથા
આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિને વિજયાદશમી કહેવામાં આવે છે. જાણો વિજયાદશમીની કથા
નવી દિલ્લીઃ આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિને વિજયાદશમી કહેવામાં આવે છે. આ દિવસના વિજયાદશમી નામની પાછળ અનેક કારણ શાસ્ત્રોમાં મળી આવે છે. આ દિવસે દેવી ભગવતીના વિજયા નામ પર વિજયાદશમી કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રીરામે લંકા પર વિજય મેળવ્યો હતો માટે પણ તેને વિજયાદશમી કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આસો શુક્લ દશમીના દિવસે તારો ઉધય થવાના સમયે વિજય નામનો કાળ થાય છે માટે તેને વિજયાદશમી કહેવામાં આવે છે. આ કાળ બધા કાર્યોમાં સિદ્ધિ પ્રદાન કરનાર હોય છે. આ દિવસે અપરાજિતા પૂજન, શમી પૂજન પણ કરવામાં આવે છે. વિજયાદશમીને ક્ષત્રિયોનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. આ દિવસે તે શસ્ત્રોની પૂજા કરે છે. આ દિવસે બ્રાહ્મણ સરસ્વતી પૂજન કરે છે અને વૈશ્ય લોકો ખાતાવહીનુ પૂજન કરે છે.
વિજયાદશમીની કથા
એક વાર માતા પાર્વતીએ શિવજીને વિજયાદશમીના ફળ વિશે પૂછ્યુ. શિવજીએ ઉત્તર આપ્યો - આસો શુક્લ દશમીએ સાયંકાળે તારો ઉદય હોવાના સમયે વિજય નામનો કાળ હોય છે જે સર્વમનોકામના પૂરી કરનાર હોય છે. આ દિવસે શ્રવણ નક્ષત્રનો સંયોગ હોય તો વધુ શુભ માનવામાં આવે છે. ભગવાન રામે આ વિજય કાળમાં લંકાપતિ રાવણને હરાવ્યા હતા. આ કાળમાં શમી વૃક્ષે અર્જૂનના ગાંડીવ ધનુષને ધારણ કર્યુ હતુ.
પાર્વતી માતાએ પૂછ્યુ શમી વૃક્ષે અર્જૂનનુ ધનુષ ક્યારે અને કેવી રીતે ધારણ કર્યુ હતુ
શિવજીએ ઉત્તર આપ્યો - દૂર્યોધને પાંડવોને જુગારમાં હરાવીને 12 વર્ષનો વનવાસ અને તેરમાં વર્ષમાં અજ્ઞાત વાસની શરત રાખી હતી. તેરમાં વર્ષમાં જો તેઓ મળી જાત તો તેમને ફરીથી 12 વર્ષનો વનવાસ ભોગવવો પડત. આ અજ્ઞાતવાસમાં અર્જૂને પોતાના ગાંડીવ ધનુષને શમી વૃક્ષ પર છૂપાવ્યુ હતુ અને સ્વયં બૃહનલ્લાના વેશમાં રાજા વિરાટ પાસે સેવા આપી હતી. જ્યારે ગૌ રક્ષા માટે વિરાટના પુત્ર કુમારે અર્જૂનને પોતાની સાથે લીધો ત્યારે અર્જૂને શમી વૃક્ષ પરથી પોતાનુ ધનુષ ઉઠાવીને શત્રુઓ પર વિજય મેળવ્યો હતો. વિજયાદશમીના દિવસે રામચંદ્રજીએ લંકા પર ચડાઈ કરવા માટે પ્રસ્થાન કરતી વખતે શમી વૃક્ષે રામચંદ્રજીની વિજયનો ઉદઘોષ કર્યો હતો માટે દશેરાના દિવસે સાંજના સમયે વિજય કાળમાં શમીનુ પૂજન થાય છે.