Pitru Paksha 2022: પંચકમાં કોઈનુ મૃત્યુ થઈ જાય તો શું વિધાન કરવુ જોઈએ? પૂતળાદાહ શું છે?
શાસ્ત્રોમાં કહેવાયુ છે કે જો પંચકમાં કોઈનુ મૃત્યુ થાય તો પરિવારમાં પાંચ લોકો મૃત્યુ પામે છે.
નવી દિલ્લીઃ ઘનિષ્ઠાનો ઉત્તર ભાગ, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી એ પંચકના પાંચ નક્ષત્ર છે. પંચક શુભ કાર્યોમાં અડચણ બનતુ નથી પરંતુ મૃત્યુ કાર્યોમાં પંચકનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયુ છે કે જો પંચકમાં કોઈનુ મૃત્યુ થાય તો પરિવારમાં પાંચ લોકો મૃત્યુ પામે છે. તેથી પંચકમાં મૃત્યુ પર પૂતળાદાહ કરવાનુ વિધાન છે. પંચકની જેમ ત્રિપુષ્કર અને ભરણી નક્ષત્રથી પણ આ જ અનર્થ થાય છે.

કેવી રીતે બનાવવામાં આવે છે પૂતળુ
આવી સ્થિતિમાં કષ્ટ નિવારણ અને પરિવારના સભ્યોના રક્ષમ માટે કુશના પાંચ પૂતળા બનાવી તેના પર દોરો વીંટાળવો અને જવનો લોટ લગાવો. આ પાંચેય પૂતળાઓને મૃતદેહની સાથે અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. આ પાંચ પૂતળાઓના નામ અનુક્રમે પ્રેતવાહ, પ્રેતસખા, પ્રેતાપ, પ્રેતભૂમિપ અને પ્રેતાર્તા છે. સંકલ્પ કરીને પાંચેય રાક્ષસોને સુગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ વગેરે વસ્તુઓ પ્રદાન કરીને તેમની પૂજા કરો.
પૂજા કર્યા પછી પ્રેતવાહ નામનુ પૂતળુ મૃત શરીરના માથા પર, બીજુ આંખ પર, ત્રીજુ ડાબા પડખા પર, ચોથુ નાભિ પર અને પાંચમુ પગ પર રાખીને ક્રમશઃ તેમના નામ અને મંત્રો સાથે, ઘીની આહુતિ આપવામાં આવે છે. જેમ કે પ્રેતવાહાય સ્વાહા, પ્રેત્સખાય સ્વાહા, પ્રેતપાયે સ્વાહા, પ્રેતભૂમિપાય સ્વાહા, પ્રેતહર્તે સ્વાહા. આ પછી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
કેવી રીતે કરશો પંચકનો વિચાર
નિર્ણયસિંધુ અને ધર્મસિંધુના મતે મૃત્યુમાં પંચક વિચારની ત્રણ સ્થિતિઓ છે.
- જો મૃત્યુ પંચક શરૂ થાય તે પહેલા થયુ હોય પણ પંચકમાં દહન કરવાનુ હોય તો માત્ર પૂતળા દહન કરવુ જોઈએ, શાંતિની જરૂર નથી.
- જો પંચકમાં મૃત્યુ થયુ હોય પણ દહન પંચક પૂરુ થયા પછી હોય તો શાંતિ કર્મ કરવુ પડે.
- જો મૃત્યુ પણ પંચકમાં થયુ હોય અને અગ્નિદાહ પણ પંચકમાં હોય તો પુતળાદાહ અને શાંતિ કર્મ બંને કરવા પડે.












Click it and Unblock the Notifications
