માતા ગાંધારીના શ્રાપથી થયુ હતુ ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ
માતા ગાંધારીએ શ્રી કૃષ્ણને શાપ આપ્યો હતો કે, જે રીતે મહાભારતમાં તેમના 100 પુત્રોનો નાશ થયો એ જ રીતે શ્રી કૃષ્ણના વંશજો પણ અંદરો-અંદર લડી મરશે.
કહેવાય છે કે, સૃષ્ટિનો આધાર માં છે. સ્ત્રીનું માતૃરૂપ, તેની માતૃશક્તિને આખુ સંસાર નમન કરે છે. ઈશ્વર પોતે પણ સ્ત્રીની મમતા, પોતાના સંતાન માટે તેના મોહ આગળ નતમસ્તક છે. પૌરાણિક કથામાં માતાના અનેક રૂપો અને માંની મમતાની કથા વાંચવા મળે છે. મહાભારતમાં પણ એક એવો જ સંદર્ભ જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે પોતાના સંતાનો પ્રત્યે માતાનો પ્રેમ જોઈ સ્વયં ભગવાને પણ માથુ નમાવ્યું છે. આ અદભૂત કથા છે, કૌરવોની માતા ગાંધારી અને મહાભારત યુદ્ધના પ્રમુખ નાયક ભગવાન શ્રી કૃષ્ણની.
મહાભારત યુદ્ધ
અનેક છળકપટ, કાવા-દાવા અને ષડયંત્રો બાદ મહાભારતનું યુદ્ધ સંપન્ન થયુ હતું, આ યુદ્ધમાં કૌરવોના પરાજયની સાથે અનેક મહારથીઓ મુત્યુને ભેટ્યા હતા. આ જ યુદ્ધમાં પાંડવોના વિજયની સાથે એક નવા ભારતવર્ષના ઉદયની પ્રસ્તાવના લખવામાં આવી હતી. મહાભારત યુદ્ધમાં અનેક માતાની કોખ ઉજડી ગઈ હતી, આ માતાઓમાં એક એવી માં હતી જેની પીડા અવિનાશી હતી, તે હતી હસ્તિનાપુરની મહારાણી, સો કૌરવોની માતા ગાંધારી; જેના બધા પુત્રો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. ગાંધારીએ તમામ પુત્રોની સાથે આખા વંશનો નાશ પોતાની આંખો સામે જોયો હતો. તેને દુઃખ એ વાતનું હતુ કે, ભગવાન કૃષ્ણના રહેવા છતાં આ અન્યાય કેવી રીતે થયો?
સંસારના પાલક શ્રી કૃષ્ણ
પાંડવોની સાથે સાથે કૌરવોમાં પણ શ્રી કૃષ્ણ સમાન રીતે પૂજનીય હતા. પરિણામે કૃષ્ણના રહેવા છતાં ગાંધારીના આખા વંશનો નાશ થવો, એ વાત ગાંધારી માટે સ્વીકાર્ય નહોતી. તેનું અંતરમન વારંવાર ચિત્કાર કરતું હતું કે સંસારના પાલક, કર્તા-ધર્તા, જેના સંકેત માત્રથી આખું વિશ્વ ચાલે છે. જો તે ઈચ્છત તો મહાભારત યુદ્ધ રોકી શક્યા હોત. ન યુદ્ધ થાત, ન કૌરવવંશનો અંત થાત.
ગાંધારી શ્રાપ
આ રીતે મોહમાં આંધળી થયેલી માતાનું મન પુત્ર હત્યાની પીડામાં સળગી રહ્યું હતું, તે દરેક વાત માટે શ્રી કૃષ્ણને દોષી ગણવા લાગી. આ મનઃસ્થિતિમાં આવી ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો. તેણે કહ્યું, હે કૃષ્ણ, જે રીતે તમારા કારણે મારા આખા વંશનો નાથ થયો છે, એક દિવસ આ જ રીતે તમારા વંશમાં પણ ઘમાસાણ થશે, તમે પોતાના લોકોને લડતા, મરતા જોશો અને કશું જ કરી શકશો નહિં. મારી જેમ તમે પણ આજ પીડામાં પ્રાણ ત્યાગશો.
36 વર્ષ બાદ શ્રાપ ફળીભૂત થયો
પુરાણો પ્રમાણે, માહભારત યુદ્ધના 36 વર્ષ બાદ આ શ્રાપ ફળીભૂત થયો હતો. યાદવવંશમાં પણ કૌરવો અને પાંડવોની જેમ મારા-મારી શરૂ થઈ ગઈ. યદુવંશીઓ પરસ્પર એકબીજાને હાની પહોંચાડી જીવ ગુમાવી રહ્યા હતા. પોતાના વંશના આ પતનથી દુઃખી થઈ શ્રી કૃષ્ણ વિચાર-મંથન માટે જંગલના એકાંતમાં ગયા અને ઝાડે પીઠનો ટેકો લઈ, પગ ફેલાવી બેઠા હતા. આ જ સમયે એક શિકારી ત્યાં શિકારની શોધમાં આવ્યો. ભગવાનના ફેલાયેલા ગુલાબી પગ તેને કોઈ હરણના કાન જણાયા અને અજાણતા તેણે તીર છોડ્યું, જે નિશાને લાગ્યું. આ રીતે ગાંધારીનો શ્રાપ ફલિત થયો અને પોતાના વંશને પોતાની આંખની સામે જોઈ, ચિંતામાં ડુબેલા શ્રી કૃષ્ણ સંસાર ત્યાગી ભગવાન વિષ્ણુમાં સમાઇ ગયા.