રૂપિયા 10ની નોટનું સ્થાન લેશે રૂ. 10નો સિક્કો
આરબીઆઇના ગવર્નર ડી સુબ્બારાવે આ અંગે જણાવ્યું કે 'રૂપિયા 5ની નોટમાં જેમ કર્યું હતું તેમ, માગ અનુસાર બજારમાંથી ધીરે ધીરે રૂપિયા 10ની નોટ પાછી ખેંચવામાં આવશે. બેંકો સિક્કાને પ્રાધાન્ય નથી આપતી, હવે ગ્રાહકો શેને પ્રાધાન્ય આપે છે તે જોવાનું રહે છે.'
તેમણે જણાવ્યું કે આરબીઆઇ સિક્કા માટેનો આગ્રહ રાખે છે તેનું એક કારણ એ છે કે લાંબુ આયુષ્ય અને ઉત્પાદન ખર્ચની રીતે સિક્કાઓ વધારે વાજબી છે. વર્તમાનમાં બજારમાં લગભગ રૂપિયા 76 કરોડના મૂલ્યના 10ના ચલણી સિક્કા ફરે છે.
આ ઉપરાંત આરબીઆઇ પેપર મનીની જગ્યાએ પ્લાસ્ટિક મની પણ લાવવા માંગે છે. આ માટે પ્રાયોગિક ધોરણે પોલિમર નોટ્સ રજૂ કરવામાં આવશે. બજારમાં પ્લાસ્ટિક મની મૂકવાનો પ્રયોગ દાયકા પહેલા પણ અમલમાં મૂકવામાં આવ્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો. આરબીઆઇને આશા છે કે લોકોના બદલાયેલા વલણ અને ટેકનોલોજીને પગલે આ વખતે પ્રયોગને સફળતા મળશે.