નોટબંધી બાદ આ 10 લાખ લોકો પર છે મોદી સરકારની નજર
આરબીઆઇ તરફથી નોટબંધીને લગતા મહત્વપૂર્ણ આંકડાઓ જાહેર કરાયા બાદ આવકવેરા વિભાગ દ્વારા પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે.
ભારતીય રિઝર્વ બેંક તરફથી નોટબંધીને લગતા આંકડા સાર્વજનિક કરાયા બાદ હવે આવક વેરા વિભાગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આવક વેરા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, લગભગ 10 લાખ પર તેઓ નજર રાખી રહ્યાં છે. આ લોકો નોટબંધી દરમિયાન સંદિગ્ધ શ્રેણીમાં આવી ગયા છે, કારણ કે તેમના ખાતામાં વધુ પ્રમાણમાં પૈસા જમા કરાવવામાં આવ્યા છે. આ અંગે આવક વેરા વિભાગની તપાસ ચાલુ છે. આવક વેરા વિભાગ અનુસાર, નોટબંધી દરમિયાન કુલ 9.72 લાખ લોકોએ કુલ 13.33 લાખ ખાતાઓમાં 2.89 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આ 9.72 લાખ લોકો પર આવક વેરા વિભાગની નજર છે અને તેમને જાણકારી આપ્યા વિના જ તેમની તપાસ થઇ રહી છે. માત્ર 3-4 અઠવાડિયાની અંદર જ આ ખાતાઓમાં પૈસા જમા કરાવવામાં આવ્યા હતા.
બીજી બાજુ નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, નોટબંધીથી ઘણો ફાયદો થયો છે. નોટબંધીને કારણે લોકો તરફથી ફાઇળ થતા ટેક્સ રિટર્નમાં 5.43 ટકાનો વધારો નોંધાયો છે. કુલ કરદાતામાં 1.26 કરોડનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે આરબીઆઇ તરફથી નોટબંધી સંબંધિત જાણકારી જાહેર કરવામાં આવી હતી, જે અનુસાર 99 ટકા નોટ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે. આ આંકડાઓ અનુસાર, કુલ 15.44 લાખ કરોડ રૂપિયામાંથી 15.28 લાખ કરોડ રૂપિયા આરબીઆઇમાં પરત આવ્યા છે.