ઉડ્ડયન મંત્રાલય ઇકોનોમી ક્લાસના હવાઇ ભાડા પર ટોચમર્યાદા લાદશે
નવી દિલ્હી, 25 ડિસેમ્બર : થોડા દિવસ પહેલા ભારતમાં એરલાઇન્સ કંપનીઓએ છેલ્લી ઘડીએ ઇકોનોમી ક્લાસનાં ભાડાંમાં વધારો કરવામાં આવ્યા બાદ સાંસદોએ તેની ટીકા કરી હતી. આ ઘટના બાદ ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇકોનોમી ક્લાસમાં છેલ્લી મિનિટે થતાં બુકિંગ માટે ભાડાંમાં ટોચમર્યાદા રાખવા વિચારે છે.
સૂત્રોના કહેવા પ્રમાણે આ મર્યાદા રૂપિયા 20,000ની હોઈ શકે છે. મંત્રાલયે એક આંતરિક નોટમાં જણાવ્યું હતું કે એરલાઇન્સ દ્વારા વસૂલાતાં બેફામ ભાડાં અંગે સાંસદો, ટૂર ઓપરેટર્સ, પ્રવાસીઓના કેટલાક વર્ગ દ્વારા ટીકા કરવામાં આવી છે. પ્રવાસના આગલા દિવસે અથવા પ્રવાસના દિવસે બુકિંગ કરવામાં આવે તો ઘણાં ઊંચાં ભાડાં વસૂલાય છે.
જમ્મુ અને કાશ્મીર, ઈશાન ભારત, અંદામાન અને નિકોબાર તથા અન્ય વિવિધ સ્થળો માટે હવાઈભાડાંમાં તીવ્ર વધારાની ઘણી ફરિયાદો મળી છે.
ક્રિસમસથી શરૂ થતા સપ્તાહમાં એર ટિકિટની ભારે માંગ હોય છે તેથી એરલાઇન્સે છેલ્લાં કેટલાંક સપ્તાહમાં હવાઈભાડાંમાં ઓછામાં ઓછો 40થી 50 ટકા વધારો કર્યો છે.
સ્પાઇસજેટની કામગીરી ઘટી જવાના કારણે અન્ય એરલાઇન્સને ભાડાં વધારવા મોકળું મેદાન મળ્યું છે. ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછી ક્ષમતા હોવાના કારણે તેનાં હવાઈભાડાંમાં ભારે વધારો થયો છે.
એરલાઇન અને ટ્રાવેલ ઉદ્યોગે આવી હિલચાલનો વિરોધ કર્યો છે. એક બજેટ કેરિયરના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું કે ઉડ્ડયન મંત્રાલયની વિચારણા યોગ્ય નથી. એરલાઇન્સ આટલી બધી ખોટ કરે છે ત્યારે હવાઈભાડાંમાં નિયમન લાદવાં ન જોઈએ.
ભારતીય એરલાઇન્સ ઉદ્યોગ ચાલુ વર્ષમાં 1.5 અબજ ડોલરથી વધારે ખોટ કરે તેવી શક્યતા છે. એરલાઇન્સ તેમના ખર્ચ કરતાં પણ નીચા ભાવે ઘણી ટિકિટ વેચે છે અને ભાવયુદ્ધ કરે છે. ભારતમાં એટીએફનો ભાવ સૌથી વધારે છે જેના માટે રાજ્યોના કરવેરા જવાબદાર છે.