આધાર આધારિત કેશ ટ્રાન્સફરને સરકારની મંજૂરી
યુપીએ સરકારે નિર્ણય લીધો છે કે ગરીબોને સસ્તું રાશન આપવાને બદલે સીધા પૈસા આપવામાં આવશે. જેથી તેમના સુધી બારોબાર લાભ પહોંચી શકે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સમિતીની બેઠકમાં આ નિર્ણય પર મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. વડાપ્રધાને જણાવ્યું કે આમ કરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે.
વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે તમામ સંબંધિત મંત્રાલયોને જાણ કરી દેવામાં આવી છે કે સીધું ધન સ્થાનાંતરણની મહત્વકાંક્ષી યોજના માટે સહયોગથી કામ કરવામાં આવે. આ યોજના 1 જાન્યુઆરી, 2013થી શરૂ કરવામાં આવશે. વડાપ્રધાને ગરીબોના બેંક ખાતા સરળતાથી ખૂલે તેની તકેદારી રાખવાની સૂચના આપી છે.
તેમણે નાણા મંત્રાલય ઉપરાંત વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યુઆઇડીએઆઇ)ને આ યોજનાની સફળતા માટે સરકાર સાથે મળીને કામ કરવા જણાવ્યું છે. સરકાર નવા વર્ષથી 51 જિલ્લાઓમાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કાર્યક્રમ શરૂ કરવાની યોજના છે. એપ્રિલ 2013થી તેને 18 રાજ્યોમાં અમલી બનાવવાની યોજના છે. ત્યાર બાદ ક્રમશ: તેને સમગ્ર દેશમા અમલી બનાવવામાં આવશે.