ભારતીય કંપનીઓએ કર્મચારીઓને લીવ લોન આપવાનું શરૂ કર્યું
મુંબઇ, 11 ડિસેમ્બર : ઘરમાં લગ્ન છે પણ નોકરીમાં રજા નથી! કંપનીમાં ચાલુ વર્ષે તમારી રજાઓનો ક્વોટા પૂરો થઈ ગયો હોય તો ચિંતા ન કરશો. નાણાંની જેમ હવે તમે સહકર્મચારીઓ પાસેથી રજા પણ ઉછીની લઈ શકશો. કેટલીક કંપનીઓએ તેના કર્મચારીઓને લીવ લોનની સુવિધા આપવાનું શરૂ કર્યું છે.
વ્યક્તિગત ઇમર્જન્સીની સ્થિતિમાં કર્મચારી રજા ઉછીની લેવાની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ પ્રક્રિયા હેઠળ તે અન્ય કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે 'લીવ બેન્ક'માં જમા કરાવેલી રજાઓ ઉધાર લઈ શકે છે. તેણે નિર્ધારિત સમયમાં આ રજાઓ 'લીવ બેન્ક'માં જમા કરાવવાની રહે છે.
વ્યક્તિ રજા જમા કરાવ્યા વગર કંપની છોડે તો કંપની નાણાંની આખરી લેવડદેવડમાં રજાના પ્રમાણમાં પગાર કાપી લે છે. અગ્રણી કન્સલ્ટિંગ કંપની કેપીએમજી વર્ષ પૂરું થતી વખતે તમામ લેપ્સ રજાઓને 'લીવ બેન્ક'માં ટ્રાન્સફર કરે છે.

મેડિકલ સમસ્યાને કારણે લાંબી પેઇડ રજા લેવી પડે તો તેમને 'લીવ બેન્ક'માંથી વધારાની રજા આપવામાં આવે છે. આ બાબત જે તે કેસ આધારિત હોય છે. ઘણી કંપનીઓએ તેના કર્મચારીઓની સુવિધા માટે 'એડોપ્શન લીવ'નો નવતર વિકલ્પ પણ અમલમાં મૂક્યો છે.
આ અંગે અગ્રણી બિઝનેસ દેનિક ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વાન્ટેજ કન્સલ્ટિંગના 129 કંપનીના સર્વેક્ષણમાં 41 ટકા કંપની એડોપ્શન લીવ ઓફર કરવાનું તારણ મળ્યું છે. આ આંકડો મહિલાઓ માટે સરેરાશ 30 દિવસ અને પુરુષ કર્મચારીઓ માટે 5 દિવસ છે.
ભારતમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ અને કેપજેમિની જેવી કંપનીઓ એડોપ્શન લીવના અમલીકરણમાં અગ્રણી છે. કેન્દ્ર સરકાર વધુ ઉદાર એડોપ્શન લીવ પોલિસી ધરાવે છે. જેમાં મહિલા સરકારી કર્મચારીને 135 દિવસની રજા મળે છે.
અન્ય ઇનોવેશનમાં ત્રિમાસિક લીવ પોલિસી (મુખ્યત્વે આઇટી કંપનીઓ ઓફર કરે છે.), રહેવાના સ્થળમાં ફેરફાર, પ્રસૂતિ સંબંધી રજા, મિસકેરેજ અને ફર્ટિલિટી લીવ્સ (આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા આપવામાં આવે છે.)નો સમાવેશ થાય છે. વાન્ટેજ કન્સલ્ટિંગના સર્વેક્ષણ પ્રમાણે જે કંપનીઓનો અભિપ્રાય લેવાયો હતો તેમાંથી લગભગ 72 ટકા પ્રસૂતિ સંબંધી રજા આપે છે.












Click it and Unblock the Notifications
