સોનાની આયાતના મુદ્દે જ્વેલરી શેર્સ તૂટ્યા
મુંબઇ, 19 નવેમ્બર : દેશની ચાલુ ખાતાની ખાધ (સીએડી)ને અંકુશ હેઠળ રાખવા માટે કેન્દ્ર સરકાર સોનાની આયાત પર આગામી ટૂંકસમયમાં કેટલાંક નિયંત્રણો મૂકી શકે તેવી અહેવાલને પગલે મંગળવારે શેરબજારમાં અગ્રણી જ્વેલરી કંપનીઓના શેરના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું. જેના કારણે અગ્રણી જ્વેલરી કંપનીઓના શેર્સ તૂટ્યા હતા.
બીએસઇમાં તારા જ્વેલ્સના શેરનો ભાવ ઇન્ટ્રા-ડે 3.16 ટકા ઘટ્યો હતો, પરંતુ સેશનના અંતે 2.89 ટકા તૂટીને રૂ.92.25એ બંધ આવ્યો હતો. પી સી જ્વેલ્સના શેરના ભાવ પણ 2.78 ટકા ઘટીને રૂ.244.80ના સ્તરે બંધ આવ્યો હતો. બીજી તરફ શ્રી ગણેશ જ્વેલરી હાઉસના શેરના ભાવ 2.10 ટકા ઘટીને રૂ.25.60ના સ્તરે બંધ આવ્યો હતો.
ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી લિમિટેડના શેરનો ભાવ 2.23 ટકાના ઘટાડા સાથે રૂ.157.60એ બંધ આવ્યો હતો. દેશની અગ્રણી જ્વેલરી કંપની ગીતાંજલીના શેરના ભાવ 0.95 ટકા ઘટીને રૂ.57.55એ બંધ આવ્યો હતો. દેશમાં ચાલુ ખાતાની ખાધને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકાર સોનાની આયાત પર વધુ નિયંત્રણો લાદી શકે છે તેવી અહેવાલથી સેન્ટિમેન્ટ ખરડાયું હતું.