માઇક્રોસોફ્ટ આ વર્ષે 18000 કર્મચારીઓને છૂટા કરશે; નડેલાએ આપી સ્પષ્ટતા
ન્યુ યોર્ક, 18 જુલાઇ : માઈક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાએ કોમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીમાં આ વર્ષનો સૌથી મોટો આંચકો આપતા કહ્યું છે કે 'કંપની આવતા એક વર્ષમાં તેના 18,000 કર્મચારીઓને છૂટા કરશે. આમાં મોટા ભાગની છટણી આ વર્ષે હાંસલ કરેલા નોકિયા યુનિટમાં કરવામાં આવશે. છટણી કરવામાં આવનારા લગભગ 12,500 કર્મચારીઓ નોકિયાના હશે.
માઈક્રોસોફ્ટના નિવેદનમાં જણાવાયું છે કે છટણીનું આ પગલું ગ્રુપની કામગીરીઓને સરળ બનાવવાની એક પુનર્ઘડતર યોજનાનો ભાગ છે. આ ઉપરાંત માઈક્રોસોફ્ટ ગ્રુપે હાલમાં જ હસ્તગત કરેલા નોકિયા ડિવાઈસીસ એન્ડ સર્વિસીસ બિઝનેસને કંપનીની એકંદર વ્યૂહરચના સાથે સાંકળવાનો પણ ઉદ્દેશ્ય છે.
નોકરીઓમાં કાપની સંખ્યા માઈક્રોસોફ્ટના ગ્લોબલ પેરોલનો લગભગ 14 ટકા હિસ્સો થાય છે. વિશ્વભરમાં માઈક્રોસોફ્ટના લગભગ 1,27,000 કર્મચારીઓ છે.
ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર સત્યા નડેલાએ કર્મચારીઓને એક ઈમેલમાં જણાવ્યું છે કે 'નોકરીઓમાં કાપ મૂકવાનો નિર્ણય મુશ્કેલ છે, પણ જરૂરી છે. તે આપણી કંપનીની નવી વ્યૂહરચનાનો એક ભાગ છે. આપણી મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે યોગ્ય સંસ્થાનું ઘડતર કરવાનું પહેલું કદમ છે આપણા કર્મચારીગણને ફરીથી સંગઠિત કરવાનું. ખાસ તો એ નોંધવાનું છે કે આપણે અમુક વિસ્તારોમાં આપણી ભૂમિકાઓને રદબાતલ કરી રહ્યા છીએ. આપણે બીજા ચોક્કસ વ્યૂહાત્મક વિસ્તારોમાં નવી ભૂમિકાઓનું નિર્માણ કરી રહ્યા છીએ.'
ઉલ્લેખનીય છે કે, માઈક્રોસોફ્ટે ગયા એપ્રિલમાં નોકિયાના ફોન યુનિટને હસ્તગત કર્યો હતો. તે સોદો લગભગ 7.5 અબજ ડોલરમાં થયો હતો.