5600 કરોડના NSEL કૌભાંડમાં જિજ્ઞેશ શાહને શરતી જામીન મળ્યા
મુંબઇ, 9 મે : રૂપિયા 5600 કરોડના NSEL કૌભાંડમાં ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઓફ ઇન્ડિયા (FTIL)ના ચેરમેન જિજ્ઞેશ શાહને કોર્ટમાંથી આજે શરતી જામીન મળી ગયા છે. આ માટે તેમણે રૂપિયા 5 લાખ જમા કરાવવા ઉપરાંત દર રવિવારે પોતાની હાજરી નોંધાવવી પડશે.
નોંધનીય છે કે મહારાષ્ટ્ર પ્રોટેકશન અફ ઇન્ટરેસ્ટ્્સ ઓફ ડિપોઝિટર્સ (MPID)ની વિશેષ અદાલતે નેશનલ સ્પોટ એકસચેન્જ લિમિટેડ (NSEL)ની પેમેન્ટ-કટોકટી સંબંધે ધરપકડ હેઠળ લેવાયેલા ફાઇનેન્શિયલ ટેકનોલોજીઝના ચેરમેન જિજ્ઞેશ શાહ અને MCXના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેકટર શ્રીકાંત જાવલગેકરને 15 મે સુધી પોલીસ -કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
જિજ્ઞેશ શાહની ધરપકડ બાદ પોલીસે હવે આ કેસમાં બ્રોકરોની સંડોવણી પર ખાસ ધ્યાન આપીને દોષીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કર્યુ છે. બીજી બાજુ આ કેસમાં હવે મોટા ડિફોલ્ટરો છટકી ન જાય એ માટે કાર્યવાહી ચાલુ રાખવાનું NSEL ઇન્ેવેસ્ટર્સ ફોરમે નક્કી કર્યુ છે.
પેમેન્ટ-કટોકટી સંબંધે તપાસ કરી રહેલી મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (EOW)ના અતિરિકત પોલીસ- કમિશ્નર રાજવર્ધન સિંહાએ જણાવ્યું હતું કે 'બ્રોકિંગ હાઉસિસે વેરહાઉસિંગ ચાર્જિસ પેટે 0.2 ટકાનો ચાર્જ વસુલ કર્યો હતો, પરંતુ રોકાણકરોને કયારેય રસીદ આપી નહોતી. બ્રોકરની આવી અનેક પ્રવૃત્તિઓ વિશેષ તપાસ ચાલી રહી છે.'
આ કેસમાં અંદાજે 200 બ્રોકરો સંડોવયેલા હોવાનો પોલીસનો મત છે. EOWના અધિકારીઓએ જણાવ્યા મુજબ કેટલાક બુલિયન ઓપરેટરોએ પણ કેસમાં ભાગ ભજવ્યો હતો.