SEBIએ નકલી શેરબજાર સલાહકારોથી દૂર રહેવા રોકાણકારોને ચેતવ્યા
મુંબઇ, 11 ડિસેમ્બર : ભારતમાં આપમેળે સ્ટોક માર્કેટ સલાહકાર બની બેઠેલા ઠગભગતોનો ભાંડો વહેલો મોડો ફૂટતો રહે છે. આમ છતાં તેમની સંખ્યામાં ખાસ ઘટાડો થતો જોવા મળી રહ્યો નથી. આવા ઠગો પર અંકુશ લાવવા માટે સેબીએ આ દિશામાં કેટલાક પગલાં ભર્યા છે ખરા, પણ વાસ્તવિક સફળતા ત્યારે મળશે જ્યારે રોકાણકારો પોતે આવા ધૂતારાઓથી દૂર રહેશે.
શંકાસ્પદ વ્યવહારથી જોડાયેલા લોકોને વિશ્વાસ હોય છે કે નિયમનકાર તેમને પકડી શકશે નહીં.ભારતમાં આ અંગેની તપાસમાં લાંબો સમય પણ જાય છે. ઓપરેટર્સ લાંબી કાયદાકીય પ્રક્રિયા અને નિયમનકારોની મર્યાદિત ક્ષમતાનો ફાયદો ઉઠાવીને ગેરકાયદેસર બિઝનેસ ચલાવતા રહે છે.
સેબી આ દિશામાં પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે જો પીડિતપક્ષ ફરિયાદ ના કરે ત્યાં સુધી કાયદેસર રીતે તેમની સામે કોઇ પગલાં ભરી શકાતા નથી. જો કે સેબીએ તાજેતરમાં બે કિસ્સાઓમાં એવા પગલાં ભર્યા છે, જેના પગલે આવી હરકતો પર અંકુશ આવશે તેવી આશા જાગી છે.
સેબીએ સેબી (ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ) રેગ્યુલેશન્સ, 2013 એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યા વગર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝ આપવા અને તેના માટે ફી લેનારી બે કંપનીઓ સામે આદેશ જાહેર કર્યો છે. ઓર્ડરમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બંને એકમો કોઇ પ્રકારના સંશોધન વિના સલાહ આપી રહી હતી.