લઘુ ઉદ્યોગો માટે એક્સાઇઝ ડ્યુટીની મુક્તિ મર્યાદા વધશે
નવી દિલ્હી, 22 નવેમ્બર : ઉત્પાદન કર એટલે કે એક્સાઇઝ ડ્યુટીના મામલે સરકાર લઘુ ઉદ્યોગો અને મધ્યમ ઉદ્યોગોને ખુશખબર આપી શકે છે. આ અંગે કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્રાએ જણાવ્યું છેકે આગામી દિવસોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે એક્સાઇઝ ડ્યુટીની મુક્તિ મર્યાદા વર્તમાનની 1.5 કરોડથી વધારીને રૂપિયા 5 કરોડ કરવાની ભલામણ નાણાપ્રધાન સમક્ષ કરવાના છે.
વર્તમાન સમયમાં વાર્ષિક 1.5 કરોડ રૂપિયાથી ઓછો વેપાર કરનારા ઉદ્યોગોને એક્સાઇઝ ડ્યુટી ભરવામાંથી મુક્તિ મળી રહી છે. SMEs છેલ્લા ઘણા સમયથી તેમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. આ સંદર્ભમાં એપેક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના દિલ્હીના પ્રતિનિધિઓએ શુ્ક્રવારે આ સંદર્ભમાં કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે છેલ્લા દસ વર્ષથી આ મુક્તિ મર્યાદા 1.5 કરોડ ચાલી આવી છે. મોંઘવારીના પ્રમાણમાં તે 5 કરોડ હોવી જોઇએ. આ ઉપરાંત પ્રતિનિધિ મંડળના સભ્યોએ શ્રમ કાયદાને વધારે લચીલા બનાવવાની, વન વિન્ડો મંજુરી અને કૌશલ વિકાસ કેન્દ્ર ખોલવાની પણ ભલામણ કરી હતી.