25 લાખની લોન સહાયથી બિઝનેસ શરૂ કર્યો, આજે કરોડોના માલિક છે વાઘોડીયાના શ્વેતાબેન પટેલ
Vadodara: અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. સફળ થવાનો દ્રઢ નિશ્ચય તો કરી લો, સરકાર તમારી સાથે છે. ગુજરાતીઓના તો લોહીમાં જ સાહસિકતા છે. બજાર મેળવવાની કોઠાસૂઝ હોય અને સરકાર પડખે ઉભી હોય, પછી શું ઘટે?
સરકારની યોજનાઓનો લાભ લઈને લોકોના જીવનમાં કેવા-કેવા ગુણાત્મક પરિવર્તનો આવ્યા છે, તેની અનેક સાફલ્યગાથાઓ આપણે વાંચીએ છીએ અને આપણે સૌ પરિચિત પણ છીએ જ.
પરંતુ, તમારી પાસે માત્ર એક પ્રોજેક્ટ હોય એટલે કે એક સાર્થક વિચાર હોય અને સરકાર તમને રૂપિયા 25 લાખની લોન નજીવા દરે આપી દે અને એમાં પણ રૂપિયા 11.25 લાખ તો સબસિડીરૂપે પરત મળે તો!.
કેન્દ્ર સરકારની આ યોજનાનું નામ છે, પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી). આ યોજનાનું એક-એક બિંદુ તમને સમજાવીશું વડોદરા જિલ્લાના રવાલ ગામના લાભાર્થી શ્વેતાબેન પટેલની સાફલ્યગાથા થકી.

સફળ મહિલા ઉદ્યોગ સાહસિક શ્વેતાબેન પટેલની કહાની સમજવા માટે થોડા વર્ષો પહેલાથી આ સાફલ્યગાથાની શરૂઆત કરવી પડશે.
પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે સંજોગો અને પૈસા બંનેની કમીથી મૂંઝાતા શ્વેતાબેનને તેમના મિત્રના માધ્યમથી પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમની જાણ થઈ.
વર્ષ-2018માં તેમણે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી અને વર્ષ-2019માં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના સહકારથી યોજના અંતર્ગત લોન સહાયની રકમ મંજૂર થઈ અને રૂપિયા 25 લાખની લોન ખાતામાં જમા પણ થઈ ગઈ હતી. આ સાથે જ શરૂ થઈ શ્વેતાબેનની સફળ મહિલા ઉદ્યોગ સાહસિક બનવાની યાત્રા.
વાઘોડીયા તાલુકાના રવાલ ગામમાં રહેતા શ્વેતાબેન પોતાના ઘરઆંગણે જ ઉદ્યોગ સ્થાપવા માગતા હતા. એટલે આસપાસના ગ્રામ્ય અને કૃષિ વિસ્તારને ધ્યાનમાં રાખીને તેમણે સાંઈકૃપા ઈન્ડસ્ટ્રીઝના નામથી પોતાના ગામના પાદરે કાંટા તાર અને ફેન્સિંગ જાળીનું ઉત્પાદન શરૂ કર્યું.
વર્ષ-2019થી શરૂ થયેલો તેમનો ઉદ્યોગ દિવસે ને દિવસે વધતો ગયો. લાખો રૂપિયામાં શરૂ થયેલું ટર્ન ઓવર આજે ત્રણ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. ત્રણ મશિનરી થકી તેઓ કાંટા તાર અને ફેન્સિંગ જાળીનું મબલખ ઉત્પાદન અને વેચાણ કરે છે. માત્ર આસપાસના ગામના ખેડૂતો કે લોકો જ નહીં, પરંતુ વડોદરા સમગ્ર જિલ્લામાંથી ઉપરાંત રાજપીપળા, બોડેલી અને વન વિભાગમાં પણ અહીંથી કાંટા તાર-ફેન્સિંગ જાળી વેચાણ થકી પહોંચે છે.
પ્રધાનમંત્રી રોજગાર યોજના અને ગ્રામીણ રોજગાર નિર્માણ કાર્યક્રમ - આ બંનેને ભેગા કરીને બનેલી પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ નામની આ યોજનાનો લાભ લઈને માત્ર શ્વેતાબેન પટેલ જ આર્થિક રીતે પગભર થયા અને સફળ ઉદ્યોગ સાહસિક બન્યા એવું નથી. આજે તેઓ પોતાના ગામના જ 12 યુવાનોને રોજગારી આપી રહ્યા છે, એટલે કે તેમના ગામના 12 પરિવારો પણ આર્થિક રીતે સમૃદ્ધ થયા છે.
આ યોજના થકી શ્વેતાબેન પટેલને માત્ર પાંચ ટકાના વ્યાજદરથી રૂપિયા 25 લાખની લોન સહાય મળી, એમાં પણ કેન્દ્ર સરકારના 25 ટકા અને રાજ્ય સરકારના 20 ટકા એટલે કે કુલ 45 ટકા (રૂપિયા 11.25 લાખ) તો તેમને સબસિડી મળી!
કેન્દ્ર સરકારની આ યોજનાનું સંચાલન લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના મંત્રાલય દ્વારા ક૨વામાં આવી રહ્યું છે. રાજ્ય સ્તરે આ યોજના રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ હેઠળ કામ ક૨તી નિયામક કચેરીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો અને બેંક દ્વારા અમલીકરણ થઈ રહ્યું છે.
જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગ્રામીણ-શહેરી વિસ્તારોમાં સ્વરોજગા૨ માટેના ઉદ્યોગ સાહસો/૫રિયોજનાઓ/નાના ઉદ્યોગો શરૂ કરી રોજગા૨ની તકો ઊભી ક૨વી અને રોજગારના વૃદ્ધિ દ૨માં વધારો ક૨વાનો છે.
ઉત્પાદન ક્ષેત્રમાં રૂપિયા 10 લાખથી વધુ અને વેપાર/સેવા ક્ષેત્રમાં રૂપિયા 5 લાખથી વધુ ખર્ચવાળી પરિયોજના સ્થા૫વા માટે લાભાર્થીએ ઓછામાં ઓછું આઠમું ધો૨ણ પાસ કરેલું હોવું જોઈએ, અને લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.
લોનની મર્યાદાની વાત કરીએ તો, ઉત્પાંદન ક્ષેત્ર હેઠળ પરિયોજના/એકમ માટે મહત્તમ રૂપિયા 25 લાખ તેમજ સેવા ક્ષેત્ર હેઠળ પરિયોજના/એકમ માટે મળવાપાત્ર મહત્તમ લોન રૂપિયા 10 લાખ છે. આ યોજના માટે ખાદી ઈન્ડિયાની વેબસાઈટ થકી ઓનલાઈન અરજી આપવાની રહે છે. વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પણ મુલાકાત પણ લઈ શકાય છે.












Click it and Unblock the Notifications
