અમદાવાદ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત્
અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સોમવારે (7 જુલાઈ) મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વર્ષ 2022માં વિશેષ અદાલત દ્વારા આપવામાં આવેલી સજાઓને યથાવત્ રાખી છે. તેના પરિણામે 38 દોષિતોને ફટકારાયેલી ફાંસીની સજા તેમજ 11 દોષિતોને કુદરતી મૃત્યુ સુધીની આજીવન કેદની સજાને માન્યતા આપવામાં આવી છે.

પીડિત પરિવારોને વધુ વળતર
ચુકાદા દરમિયાન હાઈકોર્ટે પીડિત પરિવારોને આર્થિક સહાય અંગે પણ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રતિ પરિવાર 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયાનું વળતર આપવા પણ રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે.
2008માં 56 લોકોના થયા હતા મોત
26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ 70 મિનિટના ગાળામાં એક પછી એક સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. કુલ 21 વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ બાદ શહેરની કેટલીક હોસ્પિટલોમાં પણ વિસ્ફોટક સામગ્રી મળી આવતાં સમગ્ર દેશમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો હતો.
વિશેષ અદાલતનો અગાઉનો ચુકાદો
આ કેસની લાંબી સુનાવણી બાદ ફેબ્રુઆરી 2022માં વિશેષ અદાલતે કુલ 78 આરોપીઓમાંથી 49ને દોષિત જાહેર કર્યા હતા અને 28 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. ત્યારબાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં 38 દોષિતોને ફાંસી અને 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
વિશેષ અદાલતના આ નિર્ણય સામે રાજ્ય સરકારે ફાંસીની સજાની પુષ્ટિ માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે દોષિતોએ પોતાની સજા સામે અપીલ દાખલ કરી હતી. તમામ અરજીઓ પર સુનાવણી કર્યા બાદ હાઈકોર્ટે હવે નીચલી અદાલતનો ચુકાદો યથાવત્ રાખ્યો છે.
પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલા દોષિતો
આ કેસમાં ફાંસીની સજા પામેલા દોષિતોમાં પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI)ના પૂર્વ મહાસચિવ સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે. તપાસ દરમિયાન અનેક આરોપીઓના આતંકી સંગઠનો સાથેના સંબંધો અંગે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
દેશના સૌથી મોટા આતંકવાદી કેસોમાંનો એક
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ભારતના સૌથી મોટા આતંકવાદી કેસોમાં ગણાય છે. ખાસ કરીને એકસાથે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવાનો વિશેષ અદાલતનો નિર્ણય અને હવે હાઈકોર્ટ દ્વારા તેને યથાવત્ રાખવાનો ચુકાદો ભારતીય ન્યાયિક ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
હાઈકોર્ટના આ નિર્ણય સાથે લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયાના એક મહત્વપૂર્ણ તબક્કાનો અંત આવ્યો છે. જોકે, દોષિતો પાસે હજુ પણ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની કાનૂની તક ઉપલબ્ધ રહેશે.












Click it and Unblock the Notifications
