ચૂંટણી ખતમ થયા બાદ શું વધશે પેટ્રોલ અને ડીઝલના ભાવ, પેટ્રોલિયમ મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન
પહેલી વાર સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નિવેદન સામે આવ્યુ છે.
નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો આકાશને આંબી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજીના કારણે હવે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ખતમ થયા બાદ હવે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 12થી 15 રૂપિયાનો મોટો વધારો થઈ શકે છે. વળી, પહેલી વાર સરકાર તરફથી આના પર નિવેદન સામે આવ્યુ છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યુ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતને ચૂંટણી સાથે જોડીને જોવી ખોટી છે. તેમણે કહ્યુ કે એમ કહેવુ કે અમે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે કિંમતો નથી વધારી, એ ખોટુ છે. તેમણે કહ્યુ કે ક્રૂડ ઓઈલના કિંમતો ઈંધણ કંપનીઓ નક્કી કરે છે. તેને બજારમાં જળવાઈ રહેવાનુ છે અને એ આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની કિંમતોના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરે છે.
તેમણે કહ્યુ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે અમે ભારતમાં ક્રૂડ ઓઈલની કમી નહિ થવા દઈએ. તેમણે કહ્યુ કે દેશવાસીઓના હિતોનો જોતા આ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યુ કે છેલ્લા 12 દિવસથી યુદ્ધ ચાલુ છે અને આ યુદ્ધની મોટી અસર દુનિયાભરમાં પડી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમતો પર આ યુદ્ધની અસર જોવા મળી રહી છે. એવામાં ભારતમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી આવી શકે છે જે કંપનીઓ નક્કી કરશે.