પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ ચૂંટણી લડી શકે કે નહીં? જાણો તેમને કેટલા અધિકાર મળે છે?
પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને લઈને વિવિધ વાતો સમયે સમયે સામે આવતી રહે છે. મુસ્લિમ દેશ હોવાને કારણે અહીં રહેતા હિન્દુઓ માટે ઘણા અલગ નિયમો છે. આ નિયમો ચૂંટણી લડવા અને વોટીંગ કરવામાં પણ લાગુ પડે છે.
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. પાકિસ્તાનમાં આ વખતે ચૂંટણી પંચે રાજકીય પક્ષોને ઓછામાં ઓછા પાંચ ટકા મહિલા ઉમેદવારો ઊભા રાખવાનો આદેશ આપ્યો છે.

આ આદેશ બાદ જ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ હિન્દુ સમુદાયમાંથી ડો.સવીરા પ્રકાશને ટિકિટ આપી છે. જે બાદ પાકિસ્તાનમાં હિંદુઓના ચૂંટણી લડવાના અધિકાર પરની ચર્ચાએ જોર પકડ્યું છે.
પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટી લઘુમતી વસ્તી છે. પાકિસ્તાનના બંધારણમાં લઘુમતી માટે ચૂંટણી લડવા માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના કાયદામાં લઘુમતીઓ માટે અલગ જોગવાઈ છે.
પાકિસ્તાનના બંધારણની કલમ 51 (2A) દ્વારા પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં બિન-મુસ્લિમ લોકો માટે 10 બેઠકો અનામત છે. કલમ 106 મુજબ 4 પ્રાંતીય એસેમ્બલીઓમાં 23 બેઠકો બિન-મુસ્લિમ લોકો માટે અનામત છે.
પાકિસ્તાનની સેનેટમાં પણ 4 બેઠકો બિન-મુસ્લિમ લોકો માટે અનામત છે. પરંતુ આ તો અનામત હેઠળ લઘુમતીઓને રાજકારણમાં સ્થાન આપવાની વાત છે. પરંતુ જો કોઈ હિન્દુ પાકિસ્તાનમાં બિન અનામત બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે તો તેના માટે કોઈ પ્રતિબંધ નથી.
પાકિસ્તાનમાં હિંદુઓની વસ્તી વિશે વાત કરીએ તો 2017 ના આંકડા અનુસાર, અહીં અંદાજે 40 લાખ હિન્દુઓ રહે છે અને તે સમગ્ર વસ્તીના 1.85 ટકા છે. જો પાકિસ્તાનમાં મતદાનની વાત કરીએ તો હિન્દુઓને મતદાન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.
કોઈપણ લઘુમતી હિંદુ તેના મત વિસ્તારના કોઈપણ ઉમેદવારને મત આપી શકે છે. આ માટે કોઈ માપદંડ નથી. 1973માં પાકિસ્તાનમાં નવું બંધારણ બનાવવામાં આવ્યું અને તેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતીઓને સમાન અધિકાર આપવામાં આવે.












Click it and Unblock the Notifications
