કાબેલ અર્થશાસ્ત્રીથી નબળા વડાપ્રધાન સુધી મનમોહન સિંહ
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બરઃ 90ના દશકામાં ભારતીય અર્થવ્યવસ્થાના સુધારામાં મહત્વનું યોગદાન આપનારા મનમોહન સિંહ દેશના વડાપ્રધાન તરીકેના પોતાના બીજા કાર્યકાળના અંતિમ પડાવ પર છે. તેમને ભલે ભારતના પ્રતિભાશાળી અર્થશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે, પરંતુ સત્ય એ છે કે તે વડાપ્રધાન તરીકે ભારતનું નેતૃત્વ નથી કરી શક્યા અને પોતાના કાર્યકાળમાં થયેલા ગોટાળાને રોકી શક્યા નથી, જેનાથી તેમની છબી એક નબળા વડાપ્રધાન તરીકેની પડી ગઇ છે.
જવાહર લાલ નહેરુ બાદ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પર પોતાની સેવા આપી રહેલા મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાન્તમાં થયો હતો. તેમની માતા અમૃત અને પિતા ગુરુમુખ સિંહ હતા. માતાનું નિધન થઇ જવાના કારણે તેમનું પાલણ પોષણ દાદા-દાદીએ કર્યું. તેમનું પ્રારંભિક શિક્ષણ અમૃતસરની હિન્દુ કોલેજમાં થયું, ત્યારબાદ સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી લીધી.

1991માં આસામમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા બાદ તેમણે 1996માં દક્ષિણ દિલ્હીમાંથી લોકસભા ચૂંટણી લડી પરંતુ ત્યાં તે જીતી શક્યા નહોતા. વર્ષ 2004માં યુપીએના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ ભારતના વડાપ્રધાન તરીકે તેમની જાહેરાત કરવામાં આવી. વડાપ્રધાન બન્યા બાદ એક પછી એક ગોટાળા આવતા રહ્યાં હોવા છતાં પણ તેઓ કોઇ મજબૂત પગલાં ઉઠાવી શક્યા નહીં, જેના કારણે સામાન્ય નાગરિકોના મનમાં તેમની છબી એક નબળા વડાપ્રધાન તરીકેની ઉભરી છે.
યુપીએના ટીકાકારોનું કહેવું છે કે, મનમોહન સિંહ તો માત્ર એક ચહેરો છે, સાચી તાકાત તો યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના હાથોમાં છે કારણ કે ગોટાળા અંગે જાણકારી હોવા છતાં પણ તેમણે કોઇ પગલાં ભર્યા નથી, જેને રોકી શકાતા હતા. સરહદ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી કાયરતાપૂર્ણ હરકતો પછી પણ તેઓ ચૂપ રહ્યાં. છેલ્લા દસ વર્ષમાં ભારતે અનેક મોટા આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો, પરંતુ સરકારની નિષ્ક્રિયતાના કારણે સામાન્ય જનતાને હવે તેમની પાસેથી કોઇ આશા જોવા મળી રહી નથી.












Click it and Unblock the Notifications
