કોણ છે તુલસી ગૌડા? જેમને કહેવાય છે જંગલના વિશ્વકોષ, હવે રાષ્ટ્રપતિએ આપ્યુ પદ્મશ્રી સમ્માન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માનિત કરવામાં આવેલ કર્ણાટકના 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડા વિશે જાણો.
બેંગલુરુઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માનિત કરવામાં આવેલ કર્ણાટકના 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડાનુ નામ હવે દુનિયા આદરથી લઈ રહી છે. તેમને પર્યાવરણની સુરક્ષામાં તેમના યોગદાન માટે સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ચંપલ વિના ઉઘાડા પગે ચાલતા અને જંગલ વિશેની તમામ માહિતી રાખતા તુલસી ગૌડા હજારો છોડ વાવી ચૂક્યા છે. પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરાવા પર ઘણા લોકો તેમના વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે. અમે અહીં તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છે...
કર્ણાટકના ગરીબ પરિવારમાં જન્મ્યા
તુલસી ગૌડા કર્ણાટકમાં હલક્કી સ્વદેશી જન-જાતિના છે. તે પારંપરિક પોષાક પહેરે છે. તેમનો પરિવાર એટલો ગરીબ છે કે તે ભણી શક્યા નહિ. તેમના માટે જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ હોય છે. તેમણે ક્યારેય ઔપચારિક શિક્ષણ મેળવ્યુ નથી પરંતુ આજે તેમને એનસાઈકિલોપીડિયા ઑફ ફૉરેસ્ટ (વનના વિશ્વકોષ) તરીકે ઓળખવામાં આવે છે. છોડ-વૃક્ષો અને જડીબુટીઓની વિવિધ પ્રજાતિઓના તેમના વિસ્તૃત જ્ઞાનના કારણે તેમને આ નામ આપવામાં આવ્યુ છે.
12 વર્ષની ઉંમરથી વાવી રહ્યા છે વૃક્ષો
તેઓ 12 વર્ષની ઉંમરથી પોતાને ત્યાં વૃક્ષો વાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે હજારો વૃક્ષો વાવ્યા અને તેનો ઉછેર કરીને તેમને મોટા કર્યા. કહેવાય છે કે તે એક અસ્થાયી સ્વયંસેવક તરીકે વન વિભાગમાં શામેલ થયા જ્યાં તેઓ પ્રકૃતિ સંરક્ષણ પ્રત્યે સમર્પણ માટે ઓળખાવા લાગ્યા. બાદમાં તેમને વિભાગમાં સ્થાયી નોકરી આપવામાં આવી.
72 વર્ષની ઉંમરે પણ કામ અવિરત ચાલુ
આંધ્ર પ્રદેશના ભાજપ પ્રમુખ વિષ્ણુ વર્ધન રેડ્ડીએ કહ્યુ કે આજે 72 વર્ષની ઉંમરે પણ તુલસી ગૌડાએ પર્યાવરણ સંરક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા માટે છોડનુ પોષણ કરવાનુ અને યુવા પેઢી સાથે પોતાના વિશાળ જ્ઞાનને શેર કરવાનુ ચાલુ રાખ્યુ છે. તેમણે કહ્યુ કે તુલસી ગૌડા એક ગરીબ અને સુવિધાઓથી વંચિત પરિવારમાં મોટા થયા તેમછતાં તેમણે આપણા જંગલનુ પાલન-પોષણ કર્યુ છે.
આદિવાસી હોવાના કારણે પણ લગાવ વધુ
વિષ્ણુ વર્ધન રેડ્ડીએ ટ્વિટ કરીને કહ્યુ કે તેઓ એક આદિવાસી પર્યાવરણવિદ છે જેમણે 30,000થી વધુ છોડ વાવ્યા છે અને છેલ્લા છ દશકથી પર્યાવરણ સંરક્ષણ કાર્યોમાં શામેલ છે. વળી, રાષ્ટ્રપતિ ભવન તરફથી પણ જણાવવામાં આવ્યુ કે તુલસી ગૌડાને તેમના સામાજિક કાર્યો અને પર્યાવરણ પ્રત્યે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
કયા લોકોને મળે છે પદ્મ પુરસ્કાર?
પદ્મશ્રી પુરસ્કાર ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર માનવામાં આવે છે. પદ્મ પુરસ્કાર કલા, સામાજિક કાર્યો, સાર્વજનિક બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરીંગ, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, સિવિલ સેવા વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરવામાં આવ્યા છે. સોમવારે નવી દિલ્લીમાં એક સમારંભ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી તે તુલસી ગૌડાને આપવામાં આવ્યો.
કેટલા લોકોને મળ્યા પદ્મ પુરસ્કાર?
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે જે લોકોને રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કારોથી સમ્માનિત કર્યા, એ પદ્મ પુરસ્કારોની 2021ની યાદીમાં 7 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 102 પદ્મ શ્રી પુરસ્કાર શામેલ છે. જેમાંથી 29 પુરસ્કાર વિજેતા મહિલાઓ છે અને એક પુરસ્કાર વિજેતા એક ટ્રાન્સજેન્ડર છે.