પળમાં પલટાઇ જિંદગી, અર્શથી ફર્શ પર પહોંચી બાદશાહત
એક પળમાં જિંદગી ક્યાંથી ક્યાં જતી રહે છે, એક પળ પહેલાં માનવ જીવનમાં ટોચના શિખર પર બીરાજેલો હોય છે અને બીજા જ પળે તેનુ શિખર ઢળી પડે છે અને તે ભોંય ભેગો થઇ જાય છે. જેના જીવંત ઉદાહરણ સમા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રિય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ છે. લાલુ પ્રસાદ યાદવે સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે, 17 વર્ષ પૂર્વે કરવામાં આવેલા ઘાસ-ચારા કૌભાંડનો ચૂકાદો એ સમયે આવશે જ્યારે તેઓ ભારતીય રાજકારણની એક મહત્વની કડી બની જશે.
2014માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ચોક્કસપણે એવું મનાઇ રહ્યું હતું કે, પોતાની લાક્ષણિક અદા માટે જાણીતા લાલુ પ્રસાદ યાદવ એ ચૂંટણીમાં બિહાર ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. કોંગ્રેસના નેતૃત્વવાળું યુપીએ હોય કે પછી ભાજપના નેતૃત્વ હેઠળ સ્થપાયેલું એનડીએ હોય, બન્નેને 2014માં દેશની કમાન પોતાના હાથમાં લેવા માટે ક્ષેત્રીય રાજનેતાઓની જરૂર રહેશે અને તેવામાં લાલુ પ્રસાદ યાદવ એક હુકમનો એક્કો સાબિત થઇ શકે છે, પરંતુ 30 સપ્ટેમ્બરે ચારા કૌભાંડમાં દોષી જાહેર કરવામાં આવ્યા બાદ એકાએક રાજકારણમાં ગ્રહણ આવી ગયુ હોય તેવો માહોલ સર્જાઇ ગયો હતો અને ત્યારબાદ 3જી ઓક્ટોબરે રાંચીની વિશેષ અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી સજાએ લાલુ પ્રસાદ યાદવને એક પળમાં અર્શ પરથી ફર્શ પર પહોંચાડી દીધા હતા. જો કે, એક માત્ર લાલુ પ્રસાદ યાદવ જ નથી કે જેમની જિંદગી એક પળમાં શિખરથી શૂન્ય પર પહોંચી ગઇ હતી.
લાલુ પ્રસાદ સિવાય પણ અનેક રાજનેતાઓ અને અન્ય સેલિબ્રિટી્ઝ છે કે જેમનો સજા પહેલાંનો દિવસ મોજ-મસ્તીમાં ગુજર્યો હતો અને બીજી પળે આ મોજ-મસ્તી ગમગીનીમાં છવાઇ ગઇ હતી. અમે અહીં એવી જ કેટલીક હસ્તીઓ અંગે આજે જણાવી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી જાણીએ કે લાલુ પ્રસાદ યાદવ સહિત એવી કઇ કઇ હસ્તીઓ છે કે જેમનો રાજપાટ અને ઠાઠમાઠ એક પળમાં જેલની ચાર દિવાલોમાં કેદ થઇ ગયું હતું.
સંજદ દત્ત
બૉલીવુડમાં પહેલાં ખલનાયક અને પછી ગાંધીગીરી કરવાના કારણે લોકપ્રિય થયેલો સંજૂ બાબા ઉર્ફે મુન્ના ભાઇ, સંજય દત્તને 1993માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં ગેરકાયદે રીતે હથિયાર રાખવાના ગુનામાં ટાડા કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. 2007માં સંજય દત્તને સંભળાવવામાં આવેલી છ વર્ષની સજાને ઓછી કરીને પાંચ વર્ષની કરી નાંખવામાં આવી, સંજય દત્તે અગાઉ 18 મહિના જેલમાં વિતાવ્યા હતા અને તે બાકીના સાડા ત્રણ વર્ષની સજા યરવાડા જેલમાં ભોગવી રહ્યો છે.
આસારામ બાપુ
આસારામ બાપુ આ નામ ભાગ્યેજ કોઇ ભુલી શકે. એક સગીરા સાથે યૌન શોષણ કરવાના આરોપસર આ ધાર્મિક ગુરુ હાલ જોધપુરમાં જેલના સળિયા પાછળ આધ્યાત્મિકના પાઠ ભણી રહ્યા છે, જ્યારે તેમના પર યૌન શોષણના આરોપ લગાવવામાં આવ્યા ત્યારે તેઓ પોતાના ચિત પ્રચલિત અંદાજમાં પ્રવચનો કરતા અને પોતાને કંઇ જ નહીં થાય તેવા બણગા ફૂંકી રહ્યાં હતા, પરંતુ જેવો કાયદાનો ડંડો ફર્યો કે, બાપુની તમામ બાદશાહત એક જ પળમાં જેલના સળિયા પાછળ કેદ થઇ ગઇ.
લાલુ પ્રસાદ યાદવ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રિય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ ત્યાં સુધી ફોર્મમાં જણાઇ રહ્યાં હતા, જ્યાં સુધી તેમને ઘાસ-ચારા કૌભાંડમાં દોષી જાહેર કરવામા ના આવ્યા અને તેમને સજા ફટકારવામાં ના આવી. લાલુ પ્રસાદ યાદવને 1994-95માં ચાઇબાસા કોષાગારમાંથી ગેરકાયદે રીતે 37.70 કરોડ રૂપિયા કાઢવાના મામલામાં દોષી ગણાવ્યા હતા. 1994થી 1995 દરમિયાન આ રકમ કાઢવામાં આવી હતી.
જગન્નાથ મિશ્રા
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના ટોચના નેતાનો હાલ પણ આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ જેવો જ થયો. જગન્નાથ મિશ્રાને પણ ઘાસ-ચારા કૌભાંડમાં દોષી જાહેર કરવામા આવ્યા બાદ તેમનું સુખ ચેન તમામ જાણે કે એકાએક ખોવાઇ ગયું હતું. તેમને 1994-95માં ચાઇબાસા કોષાગારમાંથી ગેરકાયદે રીતે 37.70 કરોડ રૂપિયા કાઢવાના મામલામાં દોષી ગણાવ્યા હતા. 1994થી 1995 દરમિયાન આ રકમ કાઢવામાં આવી હતી.
રશીદ મસૂદ
કોંગ્રેસ સાંસદ રશીદ મસૂદને સીબીઆઇની વિશેષ અદાલતે એમબીબીએસ સીટ વહેંચણીના મામલે ચાર વર્ષની સજા સંભળાવી છે. મસૂદ વર્ષ 1990 અને 1991 વચ્ચે કેન્દ્રિય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી હતા ત્યારે આ સીટ વહેંચણીમાં ગફલો કર્યો હતો. જે કેસમાં તેમને 2013માં સજા સંભળાવવામાં આવી હતી. તેમણે પણ લાલુ પ્રસાદ યાદવની જેમ ક્યારેય વિચાર્યું નહીં હોય કે, આ રીતે ભ્રષ્ટાચારના મામલામાં તેઓ દોષી પુરવાર થશે અને ખુશીની પળ ગમગીનીમાં બદલાઇ જશે.
શિબુ શોરેન
22 મે 1994ના રોજ રાંચી નજીક પિસ્કા નાગેરી ખાતે પોતાના સેક્રેટરી શશિનાથ ઝાનું અપહરણ અને હત્યા કરવાના મામલામાં 28 નવેમ્બર 2006ના રોજ દોષી જાહેર કરીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
ઓમપ્રકાશ ચૌટાલા
દિલ્હીની એક અદાલતે ચાલું વર્ષના જાન્યુઆરીમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર સહિત 53 લોકોને ત્રણ હજાર અધ્યાપકોની ગેરકાયદે ભરતી કરવામાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા. ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલાને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમના પર એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે 1999-2000 દરમિયાન હરિયાણામાં 3032 લોકોને અધ્યાપક રીતે ભરતી કરવામાં આવ્યા હતા અને પ્રત્યેક પાસેથી ત્રણથી ચાર લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી.
યેદીયુરપ્પા
કર્ણાટકના જિલ્લાઓમાં ગેરકાયદે રીતે લોખંડની કાચી ધાતુ એક્સપોર્ટના કૌભાંડમાં યેદીયુરપ્પાનું નામ બહાર આવ્યું હતું. આ ઉપરાંત પણ કેટલાક કૌભાંડના આરોપ તેમના પર લગાવવામાં આવ્યા હતા. લોકાયુક્ત બાદ તેમણે પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું હતું અને હવે તેમણે ભાજપ સાથે છેડો પાડી અલગ પાર્ટી બનાવી છે.
મધુ કોડા
મધુ કોડા પર 4000 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે. તેમણે ગેરકાયેદે માઇનિંગને લાઇસન્સ આપીને આ કૌભાંડ કર્યું હોવાના તેમના પર આરોપ લાગ્યા છે. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હજુ પણ તેઓ જેલમાં છે.