Raksha Bandhan 2023: એક એવુ ગામ, જ્યાં સદીઓથી ભાઈઓને રક્ષાબંધન પર નથી બંધાતી રાખડી
Raksha Bandhan 2023: રક્ષાબંધનનો દિવસ એવો હોય છે જ્યારે દરેક ભાઈ ગર્વથી પોતાના હાથ પર બહેનની બાંધેલી રાખડી બધાને બતાવે છે. આ દિવસે ભાગ્યે જ કોઈ બાળક, વૃદ્ધ કે યુવાન હશે જેણે પોતાના કાંડા પર રાખડી ન બાંધી હોય. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક એવું ગામ છે જ્યાં રક્ષાબંધનનો તહેવાર હમણાંથી નહિ પરંતુ છેલ્લી ઘણી સદીઓથી ઉજવવામાં આવતો નથી.
રક્ષાબંધનના દિવસે આ ગામના દરેક ભાઈના કાંડા ખાલી હોય છે. આવું જ એક ગામ રાજસ્થાનમાં પણ છે. રસપ્રદ વાત એ છે કે બંને ગામોમાં રક્ષાબંધન ન ઉજવવાનો નિર્ણય એક જ વ્યક્તિના કારણે લેવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી લગભગ 30 કિમી દૂર મુરાદનગરમાં સુરાના ગામ આવેલું છે. આ ગામના લોકો ક્યારેય રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી. આ દિવસને અહીં 'કાળા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે 12મી સદીથી આ ગામમાં કોઈ પણ રક્ષાબંધનનો તહેવાર નથી ઉજવતું. ગ્રામજનોનું માનવું છે કે રક્ષાબંધનનો દિવસ આ ગામ માટે શ્રાપ છે. એટલા માટે જ્યારે પણ આ ગામમાં કોઈ પણ રક્ષાબંધન મનાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે કોઈને કોઈ મુશ્કેલી ચોક્કસ ઊભી થાય છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે સુરાણા ગામ 11મી સદીમાં સોનગઢ તરીકે જાણીતું હતું. તે સમયે આ ગામમાં લગભગ 20 હજાર લોકો રહેતા હતા. એવું કહેવાય છે કે આ ગામમાં સેંકડો વર્ષ પહેલાં રાજસ્થાનથી આવેલા પૃથ્વીરાજ ચૌહાણના વંશજ સોન સિંહે હિંડન નદીના કિનારે પોતાનું નિવાસસ્થાન સ્થાપ્યું હતું. જ્યારે મોહમ્મદ ઘોરીને આ વાતની ખબર પડી ત્યારે તેણે આ ગામ પર હુમલો કર્યો અને આખા ગામના લોકોને હાથીના પગ નીચે કચડી નાખ્યા. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. તેથી જ ત્યારથી આ ગામમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવતો નથી.
રાજસ્થાનના આ ગામમાં પણ નથી ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર
રાજસ્થાનના પાલી ગામના લોકો જે પાલીવાલ નામે ઓળખાતાલોકો પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી. સ્થાનિક લોકોના મતે તેનું કારણ પણ મોહમ્મદ ઘોરી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે વર્ષ 1230માં જ્યારે મોહમ્મદ ઘોરીનો આતંક ચારે તરફ ફેલાઈ ગયો હતો ત્યારે સલીમ સિંહને કન્નૌજથી બોલાવવામાં આવ્યો હતો. થોડા દિવસો પછી, તેની ઉશ્કેરણી પર, મોહમ્મદ ઘોરીએ આ ગામ પર હુમલો કર્યો અને એક મોટો નરસંહાર કર્યો.
એવું કહેવાય છે કે તેણે ગામમાં એટલા બધા લોકોને માર્યા કે ગામની બહાર 4 મણ જનોઈ પડેલા મળી આવ્યા. આ પછી પાલીવાલ લોકો મારવાડ છોડીને દેશના વિવિધ ભાગોમાં ગયા. આ પછી, પાલીવાલ જ્યાં પણ રહે છે, તેઓ રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી. કહેવાય છે કે આ ગામમાં છેલ્લા 800 વર્ષથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવતો નથી.












Click it and Unblock the Notifications
