અમદાવાદ, 8 એપ્રિલ : નરેન્દ્ર મોદી ભારતીય જનતા પક્ષના ભાજપના ઉમેદવાર છે, પરંતુ મોદીના વડાપ્રધાન બનવાની સૌ પ્રથમ અને મહત્વની શરત છે કે ભાજપ અને તેના સાથી પક્ષોને જો 272 કે તેથી વધુ બેઠકો મળે. અત્યાર સુધીના તમામ સર્વે તો એમ જ કહે છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દેશની પ્રથમ પસંદગી છે અને ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધન એનડીએને સૌથી વધુ બેઠકો મળવાની શક્યતા છે, પરંતુ તેમ છતાં એનડીએ 272ના આંકડાને સ્પર્શી નથી શક્યું. જોકે એ પણ નક્કી જ છે કે જો એનડીએને 200 કરતા વધુ બેઠકો મળશે, તો તે ચૂંટણી બાદના ગઠબંધનો કરી સરકાર બનાવી જ લેશે અને બંધારણીય જરૂરિયાત મુજબનો આંકડો 272 હાંસલ કરી લેશે.
પરંતુ આજે અમે જે રસપ્રદ અને આશ્ચર્યજનક ફૅક્ટ બતાવવા જઈ રહ્યાં છીએ, જે આવી તમામ બંધારણીય જરૂરિયાતોથી પર છે. આ એક એવું રસપ્રદ તારણ છે કે જાણે તેના વડે જ બંધારણીય જરૂરિયાત પ્રમાણેના આંકડો હાંસલ થઈ જતો હશે. છેલ્લા 37 વર્ષોનો ઇતિહાસ કંઇક આવું જ કહે છે અને જો ઇતિહાસ પોતાને સતત દોહરાવતો હોય, તો અહીં છાતી ઠોકીને કહી શકાય કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ માટેના રથના સારથી ‘ખાલપ' છે. જો ખાલપનો વિજય થાય, તો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા કોઈ નહીં રોકી શકે અને જો ખાલપ હારી જાય અને ‘કિશન' જીતી જાય, તો પછી રાહુલ ગાંધી જ આ દેશના વડાપ્રધાન બનશે.
ચાલો, હવે વધુ સસ્પેંસ ન રાખતાં ખુલાસો કરી જ દઇએ કે અમે વાત કરી રહ્યાં છીએ વલસાડ લોકસભા મતવિસ્તારની. વલસાડ લોકસભા બેઠકનો ઇતિહાસ છે કે ત્યાંથી વિજેતા થયેલ પક્ષની જ કેન્દ્રમાં સરકાર બનતી આવી છે. આવું એક-બે કે ત્રણ ચૂંટણીથી નહીં, પણ 1977માં જ્યારે વલસાડ બેઠક અસ્તિત્વમાં આવી, ત્યારથી લઈ 2009 સુધી એટલે કે છેલ્લી 12 ચૂંટણીઓથી આવુ થતુ આવ્યું છે. આ વખતે વલસાડ બેઠક ઉપરથી ભાજપે ડૉ. કે. સી. પટેલ એટલે કે ડૉ. ખાલપભાઈ છગનભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યાં છે, તો કોંગ્રેસ તરફથી છેલ્લી બે ચૂંટણીઓથી સતત જીતતા આવેલા કિશન પટેલ ઉમેદવાર છે. હવે જો ઇતિહાસની દૃષ્ટિએ જોઇએ, તો સ્પષ્ટ છે કે જો વલસાડ બેઠક પર ભાજપ ઉમેદવાર ડૉ. ખાલપભાઈ છગનભાઈ પટેલ જીતે, તો જ નરેન્દ્ર મોદીનો રથ વડાપ્રધાન પદ સુધી પહોંચી શકશે અને જો કિશન પટેલ જીતશે, તો કદાચ તમામ અવરોધો છતાં રાહુલ ગાંધી વડાપ્રધાન બની જશે.
ચાલો તસવીરો સાથે જોઇએ વલસાડ લોકસભા બેઠકનો ઇતિહાસ અને તેના પરિણામ સાથે જોડાયેલ રસપ્રદ સત્ય :
નાનુ પટેલ-મોરારજી દેસાઈ
વલસાડના વિજેતા પક્ષની કેન્દ્રમાં સરકારનું મિથક 1977થી જોડાયું છે. વલસાડ બેઠક 1977માં જ અસ્તિત્વમાં આવી હતી. લોકસભા ચૂંટણી 1977માં દેશમાં ઇમર્જંસી અને ઇંદિરા ગાંધી તેમજ કોંગ્રેસ વિરોધી લહેર ચાલતી હતી અને આ લહેરના પગલે વલસાડમાં કોંગ્રેસનો પરાજય થયો. આ ચૂંટણીમાં વલસાડે ભારતીય લોકદળના નાનુભાઈ પટેલને વિજય અપાવ્યો અને કેન્દ્રમાં ભારતીય લોકદળની સરકાર બની તથા વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ બન્યાં.
ઉત્તમ પટેલ-ઇંદિરા ગાંધી
લોકસભા ચૂંટણી 1980માં વલસાડ બેઠક ઉપરથી પુનઃ કોંગ્રેસ પક્ષ વિજયી બન્યો. આ વખતે કોંગ્રેસના ઉત્તમ પટેલને વલસાડ ચૂંટ્યાં અને આ સાથે જ કેન્દ્રમાં ઇંદિરા ગાંધીના નેતૃત્વ હેઠળ પુનઃ કોંગ્રેસની સરકાર બની. લોકસભા ચૂંટણી 1984-85માં વલસાડે પુનઃ કોંગ્રેસના ઉત્તમભાઈ પટેલને વિજેતા બનાવ્યાં અને કેન્દ્રમાં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની જ સરકાર બની.
અનુજ પટેલ-વી. પી. સિંહ
લોકસભા ચૂંટણી 1989માં ફરી દેશમાં કોંગ્રેસ વિરોધી લહેર ચાલી અને વલસાડે ભાજપ-જનતા દળ ગઠબંધનના પક્ષમાં ચાલેલી આ લહેરમાં ગોતા લગાવતાં જનતા દળના અનુજ પટેલને સાંસદ ચુંટ્યાં. વલસાડની બેઠક ઉપરથી જનતા દળનો વિજય થતા કેન્દ્રમાં જનતા દળની સરકાર બની અને વી. પી. સિંહ વડાપ્રધાન બન્યાં.
હવે રાવના ઉત્તમ
ઇંદિરા ગાંધીને બે વખત વડાપ્રધાન તરીકે વલસાડ તરફથી લીલી ઝંડી અપાવનાર ઉત્તમ પટેલે લોકસભા ચૂંટણી 1996માં નરસિંહ રાવને વડાપ્રધાન પદ સુધી પહોંચ્યાં. આ ચૂંટણીમાં વલસાડ બેઠક ઉપરથી ઉત્તમ પટેલ વિજયી થયાં અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની.
મણિભાઈએ બાજપાઈની હૅટ્રિક કરાવી
લોકસભા ચૂંટણી 1996માં ભાજપનો જુસ્સો વધી ચુક્યો હતો અને ગુજરાતમાં ભાજપ પ્રત્યે જોરદાર લહેર હતી. તેથી વલસાડમાં ભાજપનો વિજય થયો. ભાજપના મણિભાઈ ચૌધરીના વિજય સાથે જ કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને અટલ બિહારી બાજપાઈ પહેલી વાર વડાપ્રધાન બન્યાં. જોકે તેઓ 13 જ દિવસ વડાપ્રધાન રહ્યાં. લોકસભા ચૂંટણી 1998માં પણ વલસાડ બેઠક ઉપરથી મણિભાઈ જીત્યાં અને બાજપાઈ વડાપ્રધાન બન્યાં. આ સરકાર 13 માસ જ ચાલી, તો લોકસભા ચૂંટણી 1999માં ફરી મણિભાઈએ જીતની હૅટ્રિક નોંધાવતા બાજપાઈ માટે પણ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેવાનો માર્ગ મોકળો કર્યો.
મનમોહનને તારનાર કિશન
લોકસભા ચૂંટણી 2004માં વલસાડ બેઠકનો જનમત ફરી પલ્ટાયો અને આ વખતે લોકોએ કોંગ્રેસના કિશન પટેલને વિજયી બનાવ્યાં. આ સાથે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની અને ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યાં. લોકસભા ચૂંટણી 2009માં પણ વલસાડ બેઠક ઉપરથી કિશન પટેલ જ વિજયી રહ્યાં અને કેન્દ્રમાં પણ ફરીથી કોંગ્રેસની સરકાર બની તથા મનમોહન સિંહ જ વડાપ્રધાન બન્યાં.
મોદીના સારથી ખાલપભાઈ
લોકસભા ચૂંટણી 2014ની શરુઆત થઈ ગઈ છે. આ ચૂંટણીમાં એક બાજુ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ છે, તો બીજી બાજુ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ છે. વલસાડમાં ભાજપ તરફથી ડૉ. કે. સી. પટેલ એટલે કે ડૉ. ખાલપભાઈ છગનભાઈ પટેલ ઉમેદવાર છે, તો કોંગ્રેસે બે વખતના વિજેતા કિશન પટેલને ફરી મેદાને ઉતાર્યાં છે. ઇતિહાસ જો પોતાને દોહરાવતો હોય, તો છાતી ઠોકીને કહી શકાય કે વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા નરેન્દ્ર મોદીના રથના સારથી ખાલપભાઈ જ છે. જો ખાલપભાઈ એટલે કે ડૉ. કે. સી. પટેલ વલસાડ બેઠક જીતી જશે, તો મોદીને વડાપ્રધાન બનતા કદાચ કોઈ નહીં રોકી શકે
કિશનની હૅટ્રિક રાહુલને તક
જો કોંગ્રેસના કિશન પટેલ વલસાડથી વિજયની હૅટ્રિક નોંધાવે, તો રાહુલ ગાંધીને પહેલી વાર વડાપ્રધાન બનવાની તક મળી શકે છે. જોઇએ આ વખતે વલસાડ કેવો ચુકાદો આપે છે.