શું છે એર સ્ટ્રાઈક, જેનાથી ભારતીય એરફોર્સે જૈશના અડ્ડા કર્યા તબાહ
ભારતીય એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં મિરાજ વિમાનો દ્વારા બોમ્બાર્ડિંગ કરીને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કંટ્રોલરૂમ સહિતના કેટલાક અડ્ડા નેસ્તનાબૂદ કરી દીધા છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના બરાબર 12 દિવસ બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં મિરાજ વિમાનો દ્વારા બોમ્બાર્ડિંગ કરીને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કંટ્રોલરૂમ સહિતના કેટલાક અડ્ડા નેસ્તનાબૂદ કરી દીધા છે. એરફોર્સના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મિરાજ વિમાનોએ POKમાં સ્થિત આતંકી અડ્ડાઓ પર 1000 કિલો બોમ્બ ફેંક્યા. મળતી માહિતી મુજબ ભારતની આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આતંકીઓ ઠાર થયા છે. આ આખી ઘટનાને એર સ્ટ્રાઈક કહેવાઈ રહી છે. ત્યારે ચાલો જાણીએ એર સ્ટ્રાઈક વિશે, જેના દ્વારા ભારતે આતંકીઓને ઠાર કર્યા.
આ પણ વાંચો: જાણો, બાલાકોટમાં હુમલા માટે વાયુસેનાએ મિરાજ 2000ને કેમ પસંદ કર્યું
એર સ્ટ્રાઈકમાં કયા હથિયારોથી હુમલો થાય છે?
એર સ્ટ્રાઈક, સર્જિકલ સ્ટ્રાઈકનો જ પાર્ટ છે. જેમાં હવાઈ હુમલા દ્વારા દુશ્મનના ઘરમાં ઘૂસીને તેના અડ્ડા પર હુમલો કરવામાં આવે છે. એર સ્ટ્રાઈકની સત્તાવાર વ્યાખ્યા પ્રમાણે એવા ટાર્ગેટ પણ સામેલ હોય છે, જેમાં દુશ્મનના હવાઈ અડ્ડા પણ હોય. જો કે એર સ્ટ્રાઈક મોટા ભાગે જમીન કે નેવીના અડ્ડા પર કરવામાં આવે છે. એર સ્ટ્રાઈકમાં ફાઈટર જેટ, બોમ્બ ફેંકી શકે તેવા જેટ, ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સામેલ હોય છે. એર સ્ટ્રાઈકમાં જે હથિયાર વપરાય છે, તે એરક્રાફ્ટ કેનનથી લઈ મશીન ગન, એરલોન્ચ મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ સુધઈના હોય છે. આ ઉપરાંત ગ્લાઈડ બોમ્બ, લેઝર ગાઈડેડ બોમ્બ સહિતના બોમ્બનો પણ ઉપયોગ થયો હોય છે. એર સ્ટ્રાઈકને સમાન્ય રીતે ટ્રેઈન્ડ ઓબ્ઝર્વર્સ અને જવાનો દ્વારા યોગ્ય રણનીતિ બનાવીને અંજામ અપાય છે.
સૌથી પહેલા ક્યાં થઈ એર સ્ટ્રાઈક?
1 નવેમ્બર 1911માં ઈટાલીના એવિએટર સેકન્ડ લેફ્ટનન્ટ ગિઉલિઓ ગાવોટીએ લિબિયામાં 2 તુર્કિશ અડ્ડા પર 4 બોમ્બ ફેંક્યા હતા. ઈટાલી-તુર્કી યુદ્ધ દરમિયાન થયેલી આ કાર્યવાહીને પહેલીવાર એર સ્ટ્રાઈકનું નામ અપાયું. બાદમાં પ્રથમ વર્લ્ડ વૉર દરમિયાન એર સ્ટ્રાઈકનો ઉપયોગ થયો. દાખલા તરીકે 1915માં નીવે ચાપલેની લડાઈમાં બ્રિટિશ સૈન્યએ એર સ્ટ્રાઈક કરીને જર્મન રેલ કોમ્યુનિકેશન પર બોમ્બ ફેંક્યા હતા. જો કે બીજા વિશ્વ યુદ્ધમાં તેને કોઈ સત્તાવાર નામ નહોતું અપાયું. બાદમાં ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરીએ સૌથી પહેલા એર સ્ટ્રાઈક શબ્દનો ઉપયોગ કર્યો.
ભારતે PoKમાં ઘૂસીને કરી એર સ્ટ્રાઈક
તમને જણાવી દઈએ કે મંગળવારે વહેલી સવારે 3.30 વાગે ભારતીય એરફોર્સે વાયુસેનાના ફાઈટર જેટ્સ દ્વારા લાઈન ઓફ કંટ્રોલ ક્રોસ કરીને જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર હુમલા કરી પાકિસ્તાનને ચોંકાવી દીધું. સરકારના સૂત્રો પ્રમાણે 26 ફેબ્રુઆરીની સવારે લગભગ 3.30 વાગે ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઈટર જેટ્સે આતંકી અડ્ડાઓ પર હુમલા કરી તેમને નષ્ટ કરી દીધા. જેટ્સ સુરક્ષિત રીતે પોતાની સરહદમાં પાછા આવી ગયા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વાયુસેનાની આ કાર્યવાહીમાં લગભગ 200થી 300 આતંકીઓ ઠર થયા છે. તો જૈશનો કંટ્રોલ રૂમ પણ નષ્ટ થયો છે.
21 મિનિટ સુધી બોમ્બાર્ડિંગ
જો કે પાકિસ્તાને પહેલા તો આ દાવો સંપૂર્ણ રીતે નકારી દીધો, પરંતુ ભારતે તેને સમર્થન આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે IAFના જેટ્સે 21 મિનિટ સુધી પીઓકેમાં રહીને આતંકી ઠેકાણાઓ પર બોમ્બાર્ડિંગ કર્યું. ભારતીય વાયુસેનાના મિરાજ ફાઈટર જેટે મુઝફ્ફરાબાદથી 24 કિલોમીટર દૂર નોર્થ વેસ્ટમાં આવેલા બાલાકોમાં 3.45થી 3.53 વાગ્યા સુધી હુમલો કર્યો. આ દરમિયાન જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીના ટ્રેનિંગ સેન્ટર્સ પર બોમ્બ ફેંકવામાં આવ્યા. જેટ્સના બીજા ગ્રુપે 3.48થી 3.55 સુધી મુઝફ્ફરાબાદમાં હુમલા કર્યા. તો સાથે જ 3.58થી 4.04 સુધી ચાકોટીમાં હુમલો કરવામાં આવ્યો.